મયુર માંકડિયા, ગાંધીનગર : અમદાવાદનાં આસારામ આશ્રમના દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસનો અહેવાલ આજે વિધાનસભામાં રજૂ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ ડી.કે.ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ આજે વિધાનસભામાં મુકવામાં આવ્યો છે. સુત્રોનું માનીએ તો અહેવાલમાં જવાબદાર સામે પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ રિપોર્ટની સાથે નલિયાકાંડનો અહેવાલ પણ આજે વિધાનસભામાં મુકાવામાં આવશે. બહુચર્ચિત નલિયાકાંડ માટે જસ્ટિસ દવે પંચ રચવામાં આવ્યું હતુ, જેનો અહેવાલ આજે વિધાનસભામાં રજુ થશે.
ડી કે ત્રિવેદી પંચે 2013માં ગૃહવિભાગને સોપ્યો હતો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા દિપેશ-અભિષેક નામનાં બે પિતરાઈ ભાઈઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યાં હતાં. જે મામલે આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સત્ય બહાર લાવવા રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું. આ પંચે જુલાઇ 2013માં તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો હતો.
સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી જેલભેગા કરી દીધા છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા 28 જેટલા આશ્રમમાં સજા જાહેર થતાં સન્નાટો ફેલાઈ ગયો હતો. સવારે આસારામને સજા જાહેર થવાની હતી તે પહેલાં મોટેરા આશ્રમમાં ભક્તો આવી પહોંચ્યા હતા અને સજા ન થાય તે માટે હવન પણ કર્યા હતા. એટલું જ નહીં પરંતુ, બાબા તુમ કબ બહાર આઓગેની પ્રાર્થના પણ કરી હતી. જોધપુરની કોર્ટે આસારામને સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કરતાં આજીવન કેદની સજા ફટકારી જેલ ભેગા કરી દીધા છે.