અમદાવાદઃ વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા સોમવારે દિવસે ગુમ થયા બાદ સાંજે મળી આવ્યા હતા. હાલ તેઓ ચંદ્રમણી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે આજે (મંગળવારે) સવારે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું એન્કાઉન્ટર કરવા માટે કોઈ ષડયંત્ર રચી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેમની સામે વર્ષો જૂના કેસ ફરીથી ખોલીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હોસ્પિટલ ખાતે તેમને મળવા માટે અનેક લોકો પહોંચી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાતના પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ તેમને મળવા પહોંચ્યા તો પાસના હાર્દિક પટેલે પણ તોગડિયા સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.
તોગડિયા મુદ્દે કોણે શું કહ્યું?
તમામ ઘટના અને આક્ષેપ અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સાચું શું છે તે ખબર પડી શકશે. - બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી
પ્રવીણ તોગડિયા મુદ્દે તપાસ થવી જોઇએ. તેઓ ખુદ કહી રહ્યા છે કે તેમનું એકાઉન્ટર થવાનું હતું. સરકાર નિષ્પક્ષ તપાસ કરે તો દૂધનું દૂધ થઇ જશે. - કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત
ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સેવ્યું મૌન
ગૃહમંત્રી પ્રદિપસિંહે પ્રવીણ તોગડિયાના રાજકીય આક્ષેપ પર કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા ગોળગોળ જવાબ
પ્રવીણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખરે એ વાત સ્વીકારી લીધી હતી કે તેઓ રાજસ્થાન પોલીસથી બચવા માટે ગાયબ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે પોતાના એન્કાઉન્ટરના ષડયંત્રનો પણ આક્ષેપ લગાવ્યો હતો. જોકે, પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે કોણ તેની સામે ષડયંત્ર કરી રહ્યું છે ત્યારે તેમણે કોઈનું નામ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે બધા પ્રશ્નોના ગોળગોળ જવાબ આપ્યા હતા. જોકે, શાણા લોકો તો સમજી ગયા કે તોગડિયાનો ઇશારો કોના તરફ છે.