Home /News /gujarat /પ્રાથમિક સુવિધાઓના અભાવે નરસિંહ ભગત છાત્રાલયના વિદ્યાર્થીઓએ બાંયો ચઢાવી

પ્રાથમિક સુવિધાઓના અભાવે નરસિંહ ભગત છાત્રાલયના વિદ્યાર્થીઓએ બાંયો ચઢાવી

વિદ્યાર્થીઓ બાંયો ચઢાવી

જોકે, આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જતા હોસ્ટેલ સંચાલકો દોડતા થયાં છે.અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ઝડપથી લાવવા માટેની ખાતરી આપી છે.

સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદમાં પાલડીમાં આવેલા નરસિંહ ભગત છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે હોબાળો મચાવ્યો હતા અને છાત્રાલયના સંચાલકો સામે બાંયો ચઢાવી હતી.

વિદ્યાર્થીઓ સંચાલકો સામે આક્ષેપ કર્યા કે, અમે વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઇ કાને ધરતા નથી. અંતે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે.

નરસિંહ ભગત છાત્રાલયમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના ગામડાઓનાં વિદ્યાર્થીઓ શહેરની વિવિધ કૉલેજોમાં અભ્યાસ કરે છે અને આ છાત્રાલયમાં રહે છે. મોટાભાગે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તેમાં રહે છે.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે, છાત્રાલયમાં રિવર્સ ઓસ્મોસિસ (Reverse Osmosis) સિસ્ટમ છે તો ખરી પણ કાર્યરત નથી. વરસાદના સમયે હોસ્ટેલમાં છતમાંથી પાણી પડે છે અને વિદ્યાર્થીઓએ રૂમમાં ડોલ બાંધવી પડે છે.

આ ઉપરાંત, હોસ્ટેલની બાજુમાં નવું હોસ્ટેલ બિલ્ડિંગ બની રહ્યું છે જ્યાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોનો ઉપદ્રવ વધારે છે. મચ્છરોના ઉપદ્રવના કારણે વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યાં છે. બીજીતરફ જમવામાં રસોઈ પણ બરાબર નહી મળતી હોવાની અને રસોઈ બનાવવાના વાસણો ટોઈલેટ બાથરૂમમાં રાખવામાં આવતા હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ કર્યો છે. મચ્છરોના ત્રાસના કારણે 15 વિદ્યાર્થીઓ બીમાર છે.

જોકે, આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જતા હોસ્ટેલ સંચાલકો દોડતા થયાં છે.અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ઝડપથી લાવવા માટેની ખાતરી આપી છે.

આ મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક એમ.કે. સોલંકીએ જણાવ્યું કે, છાત્રાલયમાં પીવાના પાણી માટેના આર.ઓ સિસ્ટમની સમસ્યા છે. અમે પાણીની બોટલ મંગાવીએ છીએ અને તેમને જે જરૂરિયાત હશે તે કરી આપીશું. સાફ સફાઈ માટે જે-તે એજન્સીને નોટિસ આપવામાં આવી છે.
First published:

Tags: Dalits, Paldi, અમદાવાદ