મયુર માંકડિયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ તરફથી ગુજરાત સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતને હચમચાવી દેનારા સુરત તક્ષશીલા અગ્નિકાંડ વિશે પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકાર દ્વારા સુરત મનપાના 6 અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા છે. જ્યારે પોલીસ ફરિયાદ કરી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બિલ્ડર વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરાઇ હોવાનું સરકારે જવાબમાં કહ્યું હતું. આ ઉપરાંત બાંધાકમ ગેરકાયદેસર હોવાનું અને નિયમ વિરુદ્ધનું મુજબ બાંધકામ દૂર કરવાનું જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા હતા. આ દુર્ઘટને પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ બિલ્ડર સવજી પાઘડારની અમેરિકા ભાગી છુટ્યો હતો. જેથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી. જોકે તે અમેરિકાથી પરત આવતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.
તો બીજી બાજુ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનો વહીવટ સંભાળતા પરબતભાઈ અકબરીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલી મહત્ત્વની માહિતી મળી છે. તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતુ કે, આ ગુનામાં 11ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ આ ગુનામાં પાલિકાના નિવૃત્ત અધિકારી અને હાલ મનપાના વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ફરાર છે.