અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારાઈ છે.
સંજય જોશી, અમદાવાદઃ વર્ષ 2010માં ગીરના RTI એક્ટીવિસ્ટ અમિત જેઠવાની (Amit Jethva)હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદ સીબીઆઈ કોર્ટ (Ahmedabad CBI court)દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારાઈ છે. આ મામલે વધું સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
ગત 11મી જુલાઈના રોજ અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય આરોપી દિનુ બોધા સોંલકી, શાર્પ શુટર શીવા સોલંકી સહિત કુલ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગત 6 જુલાઈના રોજ સીબીઆઈ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. 20મી જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ બહાર બાઈક પર આવેલા બે હુમલાખોરોએ અમિત જેઠવાને ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી. અમિત જેઠવાએ ગીરમાં ગેરકાયદેસર રીતે થતાં ખનન મુદે કેટલીક RTI કરી હતી જેમાં પૂર્વ સાંસદ દિનું બોઘાનું નામ સામે આવ્યું હતું. ગીર અભ્યારણ એશિયાટીક સિંહોનું એક માત્ર રહેણાંક સ્થાન છે.
અમદાવાદ સીબીઆઈ જજ કે.એમ. દવે સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠકથી સાંસદ દિનું સોંલકી અને અન્ય સાત લોકોને આરોપી જાહેર કર્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દિનુ બોધા વિરૂધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ કેસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અમિત જેઠવાએ ગીર અભ્યારણમાં ચાલતાં ગેરકાયદેસર ખનન મુદે RTI કરતા હતા જેની દાજ રાખીને સોંલકીએ હત્યા કરાવી હતી. કોલ રેકોર્ડ ડેટાના આધારે સીબીઆઈ હત્યાકાંડના આરોપીઓ સુધી પહોંચી હતી.
સીબીઆઈ અગાઉ આ કેસની તપાસ અમદાવાદ ડીસીબી દ્વારા કરવામાં આવી હતી જેમાં શિવા સોલંકી, શૈલેષ પંડયા, સંજય ચૌહાણ, ઉદય ઠાકોર સહિત 6 આરોપીઓ વિરૂધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જોકે ડીસીબીએ તમામ આરોપીઓને ક્લીનચીટ આપી દીધી હતી.