મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર યોજનારા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી રવિવારે બપોરે 12 વાગ્યા પછી ઉમેદવારોના નામ જાહેર કરશે. હાલ પ્રદેશ બીજેપી તરફથી નામોની પેનલ બનાવીને દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવામાં આવી છે. આજે દિલ્હી ખાતે બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ છ બેઠક માટે ઉમેદવારના નામો પર અંતિમ મોહર લગાવશે.
અલ્પેશ ઠાકોર ધવલસિંહને લીલીઝંડી
આ પહેલા જ રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને લીલીઝંડી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.
એવી પણ માહિતી મળી છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સોમવારે રાધનપુર ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા બાયડ ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. રાધનપુર અને બાયડ સિવાય, અમરાઇવાડા, લુણાવડા, ખેરાલુ અને થરાદ બેઠક પર બીજેપીના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.
અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 29મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. તેઓ રવિવારે રાત્રે 11 વાગ્યા બાદ ગુજરાત આવશે. સોમવારે તા. 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ સાબરમતીના ધારાસભ્યની ઓફિસને ખુલ્લી મૂકશે. જે બાદમાં તેઓ રાત્રે પરિવાર સાથે પોતાના કુળદેવીના દર્શન કરવા માટે બહુચરાજી જશે.