હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ ગુજરાતમાં બીજેપી ચૂંટણી પહેલા મોટો દાવ ખેલવા જઈ રહી છે. ચૂંટણી પહેલા ગુજરાતના કોળી નેતા તેમજ કોંગ્રેસના પીઢ નેતા કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં સામેલ કર્યા હતા. કુંવરજી બાવળિયાને ભાજપે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત થઈ છે. હવે ભાજપ કુંવરજીના માધ્યમથી લોકસભાની ચૂંટણી પહેલા કોળી મતોને અંકે કરવા માંગે છે. ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા સૌથી વધારે છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ધોબીપછાડ મળી હતી. આ જ કારણે હવે તેમને સૌરાષ્ટ્રમાં કોળી મતદારોને ભાજપ સાથે જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ જ કડીમાં હવે બીજી ફેબ્રુઆરીના રોજ ચોટીલા ખાતે કોળીનું મહા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ મહા સંમેલનની આગેવાની કુંવરજી બાવળિયા કરશે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.
લોકસભાની ચૂંટણીને લઈને કોળી સમાજના મતો અંકે કરવા માટે સૌરાષ્ટ્રના કોળી સમાજને એકઠો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ માટે સૌરાષ્ટ્રના મુખ્ય મથક ચોટીલા ખાતે કોળી સમાજનું મહા સંમેલન યોજાશે. બીજી ફેબ્રુઆરીએ ચોટીલા ખાતે મહા સંમેલન બોલાવવાનું નક્કી થયું છે. આ મહા સંમેલનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમસ્ત કોળી સમાજના લોકોને આમંત્રણ આપવામા આવશે.
મહા સંમેલન બોલાવવા પાછળનો ઉદેશ્ય મતો એક કરવા ઉપરાંત સૌરાષ્ટ્રમાં કોળી સમાજના ઉત્કર્ષ માટે કાર્યો કરવાની જરૂરિયાત છે. મહા સંમેલનમાં કોળી સમાજમાં શિક્ષણ અને સામાજીક ઉત્કર્ષ માટેની યોજના, વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની સુવિધા ઉભી કરવી, સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવો વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓનો લાભ લઈ મહિલાઓ પગભર થાય તેની ચિંતા અને ચર્ચા કરવામાં આવશે.
ભવિષ્યમાં ચૂંટણી પહેલા જ્યાં જ્યાં કોળી સમાજના લોકો રહેતા હશે ત્યાં નાના સંમેલનો કરવામાં આવશે. સંમેલન દરમિયાન કોળી સમાજને ભૂતકાળમાં જે રીતે મહત્વ મળતું હતું તે રીતે મહત્વ મળે તે પ્રકારની માંગણી કરવામાં આવશે. સંમેલન દરમિયાન એવી માગણી પણ કરાશે સમાજનું હિત જળવાશે તે પાર્ટી સાથે કોળી સમાજ રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર