નવીન ઝા, અમદાવાદ : અમદાવાદનાં પાલડીમાં આવેલા વણિકર ભવનમાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (એએચપી) વચ્ચે વિવાદ સર્જાયો છે. પાલડીમાં આવેલા વણિકર ભવનનાં કબજા બાબતે આ આખો વિવાદ સર્જાયો છે.
વીએચપીનાં કાર્યકર્તાઓએ પોલીસને ફરિયાદ કરી હતી કે અહીં પ્રવિણ તોગડિયાનાં કાર્યકર્તાઓ અહીં રાજનૈતિક કામ કરી રહ્યાં છે. જેના કારણે હાલ પોલીસ કાફલો ભવનમાં ખડકી દેવામાં આવ્યો છે.
વીએચપીનાં ટ્ર્સ્ટીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, 'અમારા ટ્ર્સ્ટમાં એક કાયદો છે કે તમે તેના સ્થાનમાં કોઇ રાજનૈતિક ગતિવીધીઓ ન કરી શકો. પરંતુ અહીં પ્રવિણ તોગડિયાનાં કાર્યકર્તાઓ રહે છે જેઓ રાજનૈતિક કામ અહીં કરી રહ્યાં છે. જેથી અમારી માંગણી છે કે તેઓ આ ભવન છોડી દે અને અમને અહીં અંદર આવવા દે.'
જ્યારે બીજી તરફ પ્રવિણ તોગડિયાએ આ અંગેના નિવેદનમાં કહ્યું કે, 'આજે હું બપોરે દિલ્હીમાં જ્યારે હું નવો રાજકીય પક્ષ રચી રહ્યો છું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસનો દૂરપયોગ કરીને અમદાવાદમાં આવેલા વણિકર ભવનનો કબજો કર્યો છે. આ ટ્ર્સ્ટની બિલ્ડીંગનો કબજો કોર્ટ કમિશન અને કર્ટનાં આદેશથી અમારી પાસે છે. કોર્ટનાં આદેશથી જ્યારે આવો કબજો હોય છે ત્યારે પોલીસ આવીને કોઇપણ હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી. ત્યારે ઉપરની રાજનીતિ અને મોદીજીનાં ઇશારે કોઇની સૂચનાનાં આધારે આ રીતે પોલીસે આવી કાયદાનું ઉલ્લંધન કરી અને કબજો લીધો, તાળા તોડ્યા અંદર કઇ કઇ વસ્તુની લૂંટ થઇ તે ખબર નથી. આ કોર્ટનું અપમાન છે કન્ડેમ ઓફ કોર્ટ છે. હું માંગણી કરૂં છું કે તરત જ પોલીસ વણિકર ભવન ખાલી કરે. આ અન્યાય છે. ડો. પ્રવિણ તોગડિયાનો જે અવાજ કરોડો લોકો માટેનો છે તે દબાવવાનો પ્રયાસ છે. સરકાર ડકેતીનું કામ ન કરે.'
પાલડીમાં આવેલો વણિકર ભવન
પાલડીના વણિકર ભવનનાં ટ્રસ્ટીઓએ એએચપીનાં કાર્યકર્તાઓ સામે પોલીસ પ્રોટેક્શન માંગતા હાલ ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આજે બપોરે જ પ્રવિણ તોગડિયા એક રાજનૈતિક પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરવાનાં હતાં.