ન્યૂઝ18 ગુજરાતી : પાટણમાં અપરિણીત તબીબ બહેન કિન્નરી પટેલે પોતાનાં મોટા ભાઇ જીગર અને ભત્રીજી માહીની ઠંડે કલેજે હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તબીબ બહેને બંન્નેને પહેલા ધતુરાના બીજનો રસ રંગીન ગ્લુકોઝમાં અને છેવટે કેપ્સુલમાં પોટેશિયમ સાઇનાઇડ ભરીને ડોઝ આપી હત્યાને અંજામ આપ્યો છે. પોલીસને તપાસમાં તે પણ જાણવા મળ્યું છે કે ઘર પરિવારમાં તેને કોઇ મહત્વ આપતું ન હતું. તેની નારાજગીએ હત્યામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
પરિવારમાં અસંતોષ મૂળ કારણ
પોલીસે કિન્નરીના માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોના નિવેદનો લીધાં છે. પરિવારના સભ્યોના મોબાઈલ કબજે લીધા છે. બાળકીની લાશ પર ઓઢાડેલું કપડું કબજે લેવાયું છે. કિન્નરી પટેલ મંદ પોઇઝન આપવા માટે ધતુરાના ફૂલના બીજ પાટણ નજીક માતરવાડી હાઈસ્કૂલ પાસેથી તોડી લાવી હોવાનું સામે આવ્યું છે. સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ. સોલંકી અને તપાસ અધિકારી આર.જી. ચૌધરીએ જણાવ્યું કે, 'ઘરમાં સામાજિક અસંતોષ અને ઘરની નારાજગીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.'
મૃતક જીગરની ફાઇલ તસવીર
પરિવારને હતી દીકરી પર શંકા
આખા પરિવારમાં આ અચાનક 2 મોતને કારણે ઘણો જ માતમ હતો ત્યારે પરિવારે જોયું કે કિન્નરીનાં ચહેરા પર કોઇ જ દુખ નથી. તેથી બધાને તેની પર શંકા ગઇ હતી. જેથી બધાએ અલગ અલગ રીતે કિન્નરીને આ અંગે પૂછ્યું હતું ત્યારે તેણે પરિવાર સામે કબૂલાત કરી દીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, 'જીગરભાઇને હું અવારનવાર ધંતુરાનાં ફૂલનાં બીજ પાણીમાં ઉકાળીને ગ્લુકોઝમાં ભેળવીને આપતી હતી. તેથી તે ગાંડા જેવા જ થઇ ગયા હતાં. તે ઉપરાંત જ્યારે કલાણા ગયા તે વખતે પણ તેમની બોટલમાં આવું જ પાણી હતું. જ્યારે તેમને ખાટલામાં સુવડાવ્યાં હતા તે દરમિયાન પણ તેમના મોંમાં ઝેરી દવાની કેપ્સુલ મુકી દીધી હતી. ભૂમિભાભીને પણ આવું જ પાણી પીવડાવતી હતી. માહી જ્યારે ઘોડિયામાં સૂતી હતી ત્યારે તેના મોઢામાં પણ ઝેરી દવા મુકી દીધી હતી.'
તબીબ બહેન કિન્નરીની તસવીર
'મારાથી ભૂલ થઇ ગઇ'
કિન્નરીને આવું કરવા પાછળનું પૂછ્તાં તેણે કહ્યું કે, 'મારાથી ભૂલ થઇ ગઇ આવું મેં કેમ કર્યું તેની મને પણ ખબર પડતી નથી.' કિન્નરીની કબૂલાતનો વીડિયો પિતાએ જ પોતાનાં મોબાઇલમાં ઉતાર્યો હતો જે પોલીસ તપામાં તેમણે આપી દીધો હતો.
મૃતક જીગર અને કિન્નરીનાં પિતા નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આરોપી કોઇપણ હોય તેને તેના ગુનાની સજા તેના ગુના પ્રમાણે જ થવી જોઈએ. આનાથી સમાજમાં દાખલો બેસે બસ એ જ આશયથી મેં મારી દીકરી હોવા છતાં તેણે જે ગુનો કર્યો છે એ બાબતે મેં ફરિયાદ આપી છે અને તેને સજા થાય એ જ મારી ઇચ્છા છે.
14 મહિનાની માહીની ફાઇલ તસવીર
જાણો આખે મામલો
પોલીસે જણાવ્યાં પ્રમાણે અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલ પાસેની મણીપુષ્પ સોસાયટીમાં રહેતા અને સ્ટીલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલના દીકરા જીગરને છ મહિના પહેલા આંખમાં કંઇ તકલીફ થઇ હતી અને શરીર ધ્રુજતું હોવાથી અમદાવાદ ખાતે સીમ્સ, સ્ટર્લિંગ, જાયડસમાં હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. ગત 4 મેના રોજ તેમનો પરિવાર પાટણમાં શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈના ઘરે રોકાયો હતો અને 5 મેના રોજ કલ્યાણા ગામે કુળદેવીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જીગરની તબિયત લથડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જે બાદ 30 મેના રોજ મૃતક જીગરની પત્ની ભૂમિબેનને તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યારે તેની દીકરી 14 માસની માહી ઘોડિયામાં સૂતેલી હતી ત્યારે ખેંચ આવતાં ખાનગી દવાખાને લઈ જતાં મૃત્યુ થયું હતું. જેની માતરવાડી સ્મશાનભૂમિમાં દફનવિધિ કરાઇ હતી. મહત્વનું છે કે જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર