ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં બહુચર્ચિત થયેલા મગફળીકાંડના પડઘા ગુજરાત વિધાનસભામાં પડ્યા છે. વિધાનસભાના ચોમાસું સુત્રમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધાનાણીએ મગફળીકાંડ મુદ્દે સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હીંચકે ઝૂલતા બાળકો પણ મગફળીકાંડના પુરાવા જોઈ શકે છે પરંતુ નીતિનભાઈને દેખાતા નથી.
પરેશ ધાનાણીએ ગૃહમાં કહ્યું હતું કે મગફળીકાંડ, ખાતરકાંડ જેવા કૌભાંડો ગુજરાતમાં થતા રહે છે પરંતુ સરકાર પગલાં લેતી નથી. સરકાર દોષિતો સામે પગલાં ભરે, ગમે તેવા ચમરબંધી હોય સરકાર કાર્યવાહી કરે કોંગ્રેસ સાથ આપશે. સત્રની શરૂઆતમાં જ ધાનાણીએ ખાતરકાંડ અને મગફળીકાંડ સામે સરકારને ઘેરવાની શરૂઆત કરી હતી.
ધાનાણીએ કહ્યું હતું કે સરકાર ભાજપના વિકાસ કરતા ભારતના વિકાસનું ધ્યાન રાખે. તાજેતરમાંજ ભાજપના એક ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને પાણીની માંગના મુદ્દે માર માર્યો હતો. થાવાણીનું નામ લીધા વગર ધાનાણીએ કહ્યું હતું કે ભાજપ બેટી બચાવોની માંગ કરે છે પરંતુ જે બેટી પાણી માંગવા આવે છે તેને માર પડે છે. આમ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરી અને વિધાનસભાનું સદન ગજાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર