રાજકોટ: કોરોના પછી લોકોને ઘણી અજાણી જગ્યાએ સ્પર્શ કરવામાં ભય અનુભવાયો. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની ભટ્ટ કર્તવીએ ડો. ધારા દોશીના માર્ગદર્શનમાં એક સર્વે કર્યો છે. જેમાં 230 પુરુષો અને 400 સ્ત્રીઓનો સમાવેશ કર્યો છો. આ સર્વેનાં તારણો શું આવ્યાં તે આજે આપણે જોઇએ..
શુ છે સ્પર્શનો ભય?
Haphephobia એટલે સ્પર્શ થવાનો ભય છે. આ ફોબિયાથી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે. આ સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિને જો કોઈ સ્પર્શ થાય તો તેમને શરીરમાં લકવો થઈ જશે અથવા કોઈ રોગ થશે તેવો ભય લાગે છે.
હાલના સમયમાં કોરોનાનો માનસિક ભય ઘણા લોકોને માનસિક અસ્વસ્થ બનાવી રહ્યો છે. આ ભય ના પરિણામ ઘણા અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. જેમાં એક Haphephobia એટલે કે સ્પર્શનો ભય છે. હાલ સામાજિક અંતરના નિયમ વિષે દિવસ રાત સાંભળવા મળતું હોય છે. સાથે જ કોરોના નો રોગ એકબીજાને સ્પર્શ કરવાથી ફેલાય છે એ વાત હાલ દરેક લોકો સુધી પહોંચી છે ત્યારે ઘણા લોકોમાં સ્પર્શનો ભય પણ ફેલાયો છે.
સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિઓ કોઈ સ્પર્શ થવાથી વિવિધ શારીરિક માનસિક તકલીફ અનુભવે છે જેમકે, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, બેભાન થઈ જવું, ઉબકા આવવા, ચીડ ચડવી,ચિંતાનો હુમલો આવવો, સૂગ આવવી વગેરે. આ સિવાય સ્પર્શ થવાથી સખત ચિંતાનો અનુભવ કરે છે. ઉપરાંત ક્યાંક ભૂલથી કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સ્પર્શ થઈ જશે તો! એ વાતના ભયથી પણ સખત ચિંતા વ્યક્તિ અનુભવે છે. વ્યક્તિ સતત અને અકારણ ભય માત્ર સ્પર્શ થવાથી અનુભવે છે. આ અતાર્કિક ભયથી વ્યક્તિ પોતાની રોજિંદી જિંદગી પણ વ્યવસ્થિત જીવી નથી શકતી, સાથે રોજિંદા કર્યો પણ યોગ્ય રીતે કરી નથી શકતા. આવી વ્યક્તિ હંમેશા સ્પર્શની શક્યતા હોય તેવી પરિસ્થિતિ ટાળે છે અથવા તેવી પરિસ્થિતિથી બચવા પ્રયત્ન કરે છે.
કારણો
Haphephobia જેવો અકારણ અને અતાર્કિક ભય વિકસવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે, ભૂતકાળનો કોઈ અનુભવ, ભૂતકાળની ઘટના, કોઈ ભય મગજમાં બેસી ગયો હોય વગેરે ઘણા કારણો જવાબદાર હોય શકે છે.
વિવિધ પ્રશ્નો પૂછ્યા તેની ટકાવારી મુજબ પરિણામ આ મુજબ જોવા મળ્યું..
શું કોઈ જગ્યા પર અડી ગયા પછી હાથ ધોઈ નાખો છે?
૬૯.૨% હા અને ૩૦.૮% એ ના કહ્યું
કોઈ જગ્યાએ અડ્યા પછી હાથ ન ધોવો તો બેચેની રહે છે?
૬૧.૫% એ હા અને ૩૮.૫% એ ના કહ્યું
પહેલા કરતા હાલના સમયમાં સફાઈ કરવાની બાબતમાં વધારો થયો છે?
૮૦.૮% એ હા અને ૧૯.૨% એ ના કહ્યું.
આશરે દિવસમાં કેટલી વખત હાથ ધોતા હશો?
૪૦.૪% એ જયારે કોઈ વસ્તુ અડીએ ત્યારે દરેક વખતે
૩૨.૭% દિવસમાં ૨ થી ૩ વખત
૨૬.૯% જમતી વખતે
કોઈ અજાણી જગ્યાએ સ્પર્શ થાય તો ભય અનુભવાય છે?
૬૦% એ હા અને ૪૦% એ ના કહ્યું
કોઈ વ્યક્તિ ભૂલથી તમને અડી જાય તો ગુસ્સો આવે છે?
૬૫.૪% એ હા અને ૩૪.૬% એ ના કહ્યું
કોઈ અજાણી જગ્યાએથી વસ્તુ લેતા તમને ભય લાગે છે?
૬૭.૩% એ હા અને ૩૨.૭% એ ના કહ્યું
ઘરના બારી દરવાજા તમે સેનેટાઈઝ કરો છે?
૭૧.૨% એ હા અને ૨૮.૮% એ ના કહ્યું
ઘરના બારી દરવાજા ને સેનેટાઈઝ કર્યા વગર અડો તો ભય લાગે છે?
૮૬.૫% એ હા અને ૧૩.૫% એ ના કહ્યું
કોઈ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર નિષેધક વિચાર આવે છે?
૭૮.૮% એ હા અને ૨૧.૨% એ ના કહ્યું
અજાણી વ્યક્તિનો સ્પર્શ થવાથી બેચેની કે ગભરામણ થાય છે?
૫૯.૬% એ હા અને ૪૦.૪% એ ના કહ્યું
ઉપચાર
સ્પર્શના ભયને દૂર કરવા માટે મન શાંત રહે તેવો પ્રયત્ન કરવો, કોઈ નિષ્ણાંત કે સલાહકારની મદદ લેવી જોઈએ, નિયમિત અને યોગ્ય ખોરાક અને ઊંઘ લેવી, નિયમિત કસરત કરવી. ધ્યાનમાં બેસવું. haphephobia નો કોઈ એક ઈલાજ નથી પરંતુ તેના ઇલાજના ઘણા વિકલ્પો છે જેમકે,
એક્સપોઝર થેરાપી:
જેમાં સ્પર્શના ભયને દુર કરવા માટે વ્યક્તિને સ્પર્શનો અનુભવ ધીમે ધીમે કરાવવામાં આવે છે. સ્પર્શ પ્રત્યેના વ્યક્તિના નકારાત્મક વલણને સકારાત્મકતામાં ફેરવવામાં આવે છે. આ થેરાપી સિવાય દવાઓ અને વર્તણૂક થેરાપી દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. જેમાં વ્યક્તિને સ્પર્શ બાદ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની તાલીમ પણ આપવામાં આવે છે.
" isDesktop="true" id="1113268" >
સ્પર્શનો ભય હાલ કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોમાં ફેલાયો છે જેનાથી વ્યક્તિ પોતાનું રોજિંદું કર્યા પણ વ્યવસ્થિત કરી નથી શકતી. આથી તેની મદદ માટે યોગ્ય નિષ્ણાંતની ( મનોવૈજ્ઞાનિક) સલાહ કે મદદ લેવી એ જ યોગ્ય નિર્ણય હોય શકે.