રાજકોટ : રાજકોટ (Rajkot)શહેરમાં ધોળા દિવસે મહિલાના ઘરમાં ઘુસી ગોળી ધરબી હત્યા (Rajkot Woman Murder) નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે 4 જાગૃત યુવાનોની સતર્કતાના કારણે પોલીસે હત્યાની (Murder)ઘટના ઘટ્યાના એકજ કલાકમાં મહિલાની હત્યા કરનારા આરોપીને ઝડપી પાડયો હતો. ત્યારે પોલીસ (Rajkot Police)તપાસમાં મહિલાને સાત માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે.
ક્યારે બની હતી ઘટના- રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા વિમલ નગર નજીક પાર્ક વિસ્તારમાં રહેતા સરીતાબેનના ઘરમાં ઘૂસી દેશી કટ્ટા વડે ફાયરિંગ કરી મહિલાની હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે સમયે આરોપીએ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો આ સમયે મહિલા પોતાના પતિ સાથે બપોરનું જમવાનું જમી રહી હતી. મહિલાની હત્યા કર્યા બાદ આરોપી ગુનાના કામે વાપરેલું હથિયાર મહિલાના ઘરમાં જ છોડી જતો રહ્યો હતો. ત્યારે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી આકાશ મૌર્ય ઇન્દિરા સર્કલ નજીક રિક્ષામાં બેસી માધાપર ચોકડી તરફ રવાના થયો હતો.આ સમયે ચાર જેટલા સ્થાનિક યુવાનોએ છૂપી રાહે તેનો પીછો કર્યો હતો તેમજ સમગ્ર મામલાની પોલીસને જાણ પણ કરી હતી. આમ, આરોપી આકાશ મૌર્ય માધાપર ચોકડી પહોંચે તે પહેલાં જ યુનિવર્સિટી પોલીસનો કાફલો માધાપર ચોકડી ખાતે દોડી ગયો હતો. આરોપી રિક્ષામાંથી ઉતરતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
શા માટે કરી હતી હત્યા - યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આરોપીએ જણાવ્યું હતું કે તેણે સરિતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમજ આરોપી અને મૃતક બંને ઉત્તર પ્રદેશના વતની હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આરોપીએ પોલીસને જણાવ્યું છે કે, કોર્ટ મેરેજ કર્યા બાદ સરિતાએ તેની સાથે બેસવા બાબતે ઇનકાર કર્યો હતો. તેમજ આરોપીએ મૃતક સરિતાને ઘર ખર્ચ માટે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ આપી હોવાનું જણાવ્યું છે. આરોપીની જાણ બહાર સરિતાએ જૂનાગઢના વ્યક્તિ પંકજ સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ બાબતની જાણ થતા આરોપી દ્વારા સરિતા અને તેના પતિ પંકજ પાસેથી પૈસાની માગણી કરવામાં આવતી હતી. અનેક વખત માંગણી કર્યા બાદ પણ સરિતા અને તેનો પતિ પંકજ આરોપી આકાશને તેના પૈસા પરત આપી રહ્યા ન હતા. જેના કારણે આરોપીએ સરિતાની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢયું હતું.
કઈ રીતે આપ્યો હત્યાની ઘટનાને અંજામ - સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, આકાશ દ્વારા થોડા દિવસો પૂર્વે જ ઉત્તર પ્રદેશમાંથી દેશી કટ્ટો ખરીદી કરીને લાવ્યો હતો. આરોપી ઉત્તર પ્રદેશથી અમદાવાદ સુધી રેલવે ના માધ્યમથી પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદથી રાજકોટ તે બસમાં આવ્યો હતો. રાજકોટમાં તે કઈ જગ્યાએ રોકાયો હતો તે બાબતે હાલ તેની પૂછપરછ કરવામાં આવશે. આરોપી સૌપ્રથમ મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાના ઘરમાં પ્રવેશ કર્યા બાદ એક મિનિટના જ સમયગાળામાં મહિલાને નજીકથી ફાયરિંગ કરી તેની હત્યા નીપજાવી હતી. ત્યાર બાદ આરોપી ગુનાના કામે વાપરેલ હથિયાર ત્યાં જ છોડીને જતો રહ્યો હતો. આરોપી કરવાનો હતો આત્મહત્યાનો પ્રયાસ? - ડીસીપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આરોપીના થેલામાંથી સાઈનાઈડની ગોળીઓ પણ મળી આવી છે. શક્ય છે કે, આરોપી આપઘાત અથવા આપઘાતના પ્રયાસ અંગે પણ વિચારી રહ્યો. હાલ પોલીસે સાઇનાઇડની ગોળીઓ પણ કબજે કરી છે. તેમજ ગુનાના કામે વપરાયેલુ હથિયાર સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. Dcp મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ હત્યા જેવા ગંભીર બનાવમાં જ્યારે આડોશ પાડોશમાં રહેતા લોકો પણ આરોપીનો સામનો કરવામાં તેમજ ઘટના સમયે વચ્ચે પડતા અચકાતા હોય છે. ત્યારે ચાર જેટલા યુવાનોએ હિંમત દાખવી સમાજમાં એક આદર્શ કિસ્સો સ્થાપ્યો છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તમામનું સન્માન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.