બાવળિયાના મત વિસ્તારમાં જ પાણીનો પોકાર, મંત્રીએ કહ્યુ 'પાણી પહોંચી જશે'
બાવળિયાના મત વિસ્તારમાં જ પાણીનો પોકાર, મંત્રીએ કહ્યુ 'પાણી પહોંચી જશે'
ન્યૂઝ 18 સાથે વાતચીત કરી રહેલા કુંવરજી બાવળિયા
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તાર જસદણ- વિછીંયામાં પાણીની વિકટ સ્થિતી, પુરવઠા મંત્રી બાવળિયાનું નિવેદન : દર 2-3 દિવસે પીવાનું પાણી વિતરણ થઈ રહ્યું છે.
અંકિત પોપટ, રાજકોટ/ હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં જ પાણીનો પોકાર થતાં વિરોધ પક્ષ કોંગ્રેસ મેદાન પડ્યો છે. જસદણ વીછીંયામાં પાણી પ્રશ્ને જસદણના કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારીને પક્ષ લખ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે જસદણમાં આંદોલનની ચીમકી આપી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આઠ દિવસમાં પાણી અને પશુને ઘાસચારો પુરો પાડવામાં નહીં આવે તો આંદોલન કરશે. કેબિનેટ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીના વિસ્તારમાં જ કોંગ્રેસે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ જસદણ સહિતની રાજ્યની પાણીની સ્થિતિ અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી.
ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં બાવળિયાએ કહ્યું હતું કે રાજ્યમાં પાણી સ્થિતિની સમીક્ષા કરી છે અને જ્યાં અછત છે ત્યાં ટેન્કરોથી પાણી પહોંચાડવાનું આયોજન છે. તેમણે પાણી ચોરોને ચેતવણી આપતા કહ્યું હતું કે પાણીની ચોરી કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થશે. તેમણે કહ્યું, “ પીવાના પાણીની જે સમસ્યા હતી ત્યાં જરુરિયાત પણે ટેન્કોર કરવા, બોર સુકાઈ ગયા હોય તો ઉંડા કરી અને હેન્ડ પંપ મૂકવા, અને દરિયાઈ વિભાગમાં જ્યાં તળાવ સુકાઈ ગયા હોય ત્યાં તળાવ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.”
કચ્છની સમસ્યા વિશે બાવળિયાએ કહ્યું, “ કચ્છમાં છેવાડાના ગામડે અને યોજના સાથે જોડાયેલા ગામને પાણી પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપી છે. પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ક્યાંય પણ ચોરી થતી હોય તો તેને અટકાવવા માટે સૂચના આપવામાં આવશે. પાણી ચોરોને એક નોટિસ આપવામાં આવશે અને નહીં સુધરે તો પોલીસને પણ મદદ લેવામાં આવશે.”
બાવળિયાએ વધુમાં કહ્યું, “વીછીંયામાં દર 2-3 દિવસે પાણી મળે છે, એ વિસ્તારના વધ્યા ઘટ્યા કોંગ્રેસીયાઓ ઘાંઘા થયા છે, હું જસદણ વિસ્તારમાં પીવાના પાણીની પૂરતી તકેદારી રાખું છું. જસદણ વીછીંયામાં પીવાના પાણીની ખૂબ ઓછી સમસ્યા છે. ”
કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ શિંગાળાએ કહ્યું હતું કે 10 દિવસે પાણી મળી રહ્યું છે. જ્યારે અમુક ગામમાં ટેન્કરો પણ શરૂ થયા નથી. બહેનો અને દીકરીઓને પશુના પાણી પીવાના હવાડેથી પાણી ભરવું પડે તો કેટલી વિકટ સ્થિતિ કહેવાય. જો પ્રાંત અધિકારી છથી સાત દિવસમાં અમારા વિસ્તારમાં પાણી પૂરતું નહીં મળે તો ચોક્કસથી આંદોલન કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર