દિનેશ સોલંકી, વેરાવળ: સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકએ ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત 22 ઓકટોબરના નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યુ હોવાનું પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે.
પોલીસ સ્ટાફ રાખી રહ્યું છે બાળકીનું ધ્યાન
આ માસુમ બાળકી ગુમ થવાના મામલે નાગપુર પોલીસ સ્ટેશનમાં બાળકીના ગુમસુદાની એન્ટ્રી નોંધાઈ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા બાળકીના માતા પિતાને જાણ કરી અત્રે બોલાવવામાં આવ્યા છે. હાલ માસુમ બાળકીને પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
પહેલા બાળકીનો પિતા હોવાનો કર્યો દાવો
તારીખ 13મીએ સોમનાથ ચોપાટી પર સાંજનાં સમયે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારતો હોવાની પોલીસને જાણ થતા પીઆઈ એન. એમ. આહીર ડીસ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ માસુમ બાળકી અને તેને મારનાર શખ્સને પોલીસ મથકે લાવી હતી. બાળકીને માર મારવાથી ઈજાઓ થયેલી હોવાથી સારવાર કરાવવામાં આવી હતી.
બાદ તપાસ કરતાં હુમલાખોર શખ્સ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતો સુરજ પ્રકાશરાવ ખીરડકર હોવાનું જાણવામાં માળ્યુ હતું. આ શખ્સ બાળકી પોતાની હોવાનો પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો હતો. જોકે તેના લગ્ન થયાનું હોવાનું પોલીસને જાણવા મળતા એક તબક્કે પોલીસ સ્ટાફ ચકરાવે ચડ્યો હતો. પોલીસને તેની પાસેથી રેલવેની ટિકિટો મળી આવી હતી.
જેથી પોલીસે ગુજરાત મહારાષ્ટ્રનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી સોશિયલ મીડીયામાં મુકતા આ બાળકી મૂળ અલ્હાબાદ રહેતા અને હાલ ડીલેવરી માટે નાગપુર આવેલી દીપા પ્રેમ ભારથીની પુત્રી હોવાનું અને તેની ગમસુદા થયાની ફરિયાદ નાગપુર પોલીસમાં ગત તા.22નાં રોજ નોંધણી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ નાગપુર પોલીસ સાથે સંપર્ક કરી બાળકીની ઓળખ કરેલ હતી. બાળકી મળી હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા માસુમ બાળકીનો કબજો લેવા માટે તેના પરિવારજનો સોમનાથ આવવા નીકળી ગયા છે.