ગાંધીધામ: CDS બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની સહિત 13ની તમિલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં (Army helicopter crash) મોત થતા આખો દેશ આઘાતમાં છે. આ દૂર્ઘટનામાં એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ (Group Captain Varun Singh) જીવિત છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમનો ગુજરાત (Gujarat) સાથે ઘેરો સંબંધ સામે આવ્યો છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહે ગાંધીધામમાં (Gandhidham) શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. જેના કારણે હાલ ગાંધીધામમાં તેમના પરિચિતો તેમના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આ શાળામાં કર્યો હતો અભ્યાસ
વાયુસેનાના ગૃપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા કે.પી. સિંહ 50 એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું 1995માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. વરુણ સિંહે પોતાના વિધાર્થી કાળમાં ધો. 7,8,9ની શિક્ષા ઈફ્કો કોલોનીમાં સ્થિત કેન્દ્રીય વિધાલયમાં મેળવી હતી.
કેપ્ટન શૌર્ય ચક્રથી સન્માનિત છે
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ અનુભવી પાયલટ (Pilot) હોવાની સાથે શૌર્ય ચક્ર (Shaurya Chakra)થી સન્માનિત છે. વરૂણ સિંહને આ ચક્ર એલસીએ તેજસ (Tejas)ની ઉડાન દરમિયાન સામે આવેલી ઇમરજન્સી સ્થિતિમાં પોતાને સાવધાની પૂર્વક અને સકુશળ બચાવવા માટે આપવામાં આવ્યું હતું. 12 ઓક્ટોબર, 2020માં તેઓ તેજસ પર એકલા જ ઉડાન ભરી રહ્યા હતા. આ દરમિયાન વિમાનમાં ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા લાઇફ સપોર્ટ સિસ્ટમ ખરાબ થઇ ગઇ હતી. એરબેઝથી દૂર અને ઊંચાઇ પર કાકપિટનું પ્રેશર આવવાથી સતત વણસી રહેલી સ્થિતિમાં તેઓએ ટેક્નિકલ ખામી શોધી કાઢી અને વિમાન પર કાબૂ મેળવ્યો હતો.
10 હજાર ફૂટની ઊંચાઇએ વિમાનમાં ફરી ખામી સર્જાઇ અને વિમાન સતત નીચે જઇ રહ્યું હતું. ત્યારે તેમની પાસે એક જ વિકલ્પ હતો વિમાનમાંથી નીચે કૂદી જાય નહીં તો ખામીને ઠીક કરે. તેમણે ફરી વિમાન પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો અને તેમા તેઓ સફળ રહ્યા. તે બાદ તેમણે વિમાનને સુરક્ષિત જમીન પર લેન્ડ કરાવ્યું હતું.
આ રીતે કેપ્ટન વરૂણ સિંહે પોતાના જીવની બાજી લગાવીને હજારો કરોડના વિમાનને તેઓએ બચાવી લીધું હતું. તેના માટે તેમને વિંગ કમાન્ડમાંથી ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. અને તેમને શૌર્ય ચક્રથી સન્માનિત પણ કરાયા હતા.