Home /News /gujarat /Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર, નરેશ પટેલ કે પુત્ર શિવરાજ નહીં પકડે કોંગ્રેસનો હાથ: સૂત્ર
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર, નરેશ પટેલ કે પુત્ર શિવરાજ નહીં પકડે કોંગ્રેસનો હાથ: સૂત્ર
નરેશ પટેલ ફાઈલ તસવીર
Gujarat latest news : 'નરેશ પટેલ કે તેમના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય. સમાજમાં ફાંટા પડે તેવું નરેશ પટેલ નથી ઈચ્છી રહ્યા સમાજ એક રહે તેવું નરેશ પટેલનું પ્રથમ લક્ષ્ય છે.'
રાજકોટ: ગુજરાતના રાજકારણના (Gujarat Politics) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં પ્રવેસશે તેવી વાતો ચાલી રહી હતી. ત્યારે નરેશ પટેલના નજીકના સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે, નરેશ પટેલ કે તેમના પુત્ર શિવરાજ પટેલ (Shivraj Pael) કોંગ્રેસમાં (Congress) નહીં જોડાય. અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંબણિયા સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) જણાવ્યુ છે કે, નરેશ પટેલને કોંગ્રેસની ખુલ્લી ઓફર છે. કોંગ્રેસે આખરી નિર્ણય નરેશ પટેલ પર છોડ્યો છે.
'નરેશભાઇને ત્યાં ચા-પાણી કરવા આવ્યા હતા'
ગુજરાતના રાજકારણમાં હાલ ખળભળાટ ચાલી રહ્યો છે. ત્યારે ગઇકાલે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે. ત્યારે આજે સવારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કથગરા સહિતના નેતાઓએ નરેશ પટેલના ફાર્મ હાઉસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક બાદ જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, જગદીશ ઠાકોરે આ અંગે મીડિયા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યુ કે, અમે નરેશભાઇને ત્યાં ચા-પાણી કરવા માટે આવ્યા હતા. તે કરીને અમે આગળ જઇ રહ્યા છે. નરેશભાઇ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે અમારી કોઇ ચર્ચા થઇ નથી.
આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યુ કે, 'અમે સમાજના મોભીને મળવા આવ્યા હતા. શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં સારા લોકો જોડાય તેમ અમે ઇચ્છી રહ્યા છે.' આ સાથે રધુ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલના સવાલ પર કોઇ પ્રતિક્રિયા આપી જ નહીં અને ત્યાંથી જતા રહ્યા હતા.
નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી નરેશ પટેલ કયા પક્ષમાં જશે તે અંગે ચર્ચાએ જોર પકડ્યુ હતુ. ત્યારે નરેશ પટેલે માર્ચના છેલ્લા સપ્તાહમાં આ અંગે ખુલાસો કરવા જણાવ્યુ હતુ. પરંતુ આજ સુધી હજી આ અંગે કાંઇ ખુલાસો તેમના તરફથી કરવામા નથી આવ્યો. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાય તેવી વાતો વચ્ચે સૂત્રો પાસેથી મહત્ત્વની વાત મળી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે, નરેશ પટેલ કે તેમના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય. સમાજમાં ફાંટા પડે તેવું નરેશ પટેલ નથી ઈચ્છી રહ્યા સમાજ એક રહે તેવું નરેશ પટેલનું પ્રથમ લક્ષ્ય છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ પણ હાલ વ્યવસાયમાં ધ્યાન આપશે. સમાજના સંગઠનમાં પણ ધ્યાન આપશે. અલ્પેશ કથીરીયા અને દિનેશ બાંભણિયા સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે.