સોરાષ્ટ્ર અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam overflow) મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. મોડી રાત્રે 2 વાગ્યે ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં 1800 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જ્યારે આજે ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ પાંચ વર્ષમાં ચોથીવાર ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામને પણ એલર્ટ (Villages on alert) આપવામાં આવ્યું છે.
સિંચાઇ માટે પણ પાણી અપાશે
નાયબ કાર્યપાલક ઇજનેર, આશિષ બાલધિયાના જણાવ્યા પ્રમાણે, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 15,340 કયૂસેક પાણીની જાવક થઈ રહી છે. આ ડેમ ઓવરફ્લો થવાથી ભાવનગર શહેર, પાલિતાણા, ગાધિયાઘારને પીવાના પાણીનો સંપૂર્ણ પ્રશ્ન હલ થઇ ગયો છે. આ સાથે સિંચાઇ માટે પણ ખેડૂતોને સારા પ્રમાણમાં પાણી મળશે.
શેત્રુંજી ડેમ
17 ગામોને કરાયા એલર્ટ
ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ ડેમ ઓવરફ્લો થતા જણાવ્યું છે કે, શેત્રુંજી ડેમના મોડી રાતે બે વાગ્યાની આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
જેમા ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એકવર્ષ સુધી નહીં રહે પીવાના પાણીનો પ્રશ્ન
નોંધનીય છે કે, આ ડેમની ઓવરફ્લો સપાટી 34 ફૂટની છે. ડેમના 20 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગરવની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ જતા જિલ્લામાં પાણી સમસ્યા આગામી એક વર્ષ સુધી નહી ઉભી થાય.