Dhairya Gajara, Kutch: આ વર્ષે કચ્છમાં શ્રીકાર વરસાદથી અનેક તળાવો અને ડેમ છલકાયા. ગામડે ગામડે આ તળાવ અને ડેમના વધામણાં કરવામાં આવ્યા પરંતુ હમીરસર તળાવની વાત જ નિરાળી છે. કોઈ એક ગામનું તળાવ છલકાય ત્યારે તે એક ગામ અથવા શહેરના લોકો ઉજવે છે પરંતુ જ્યારે હમીરસર છલકાય ત્યારે માત્ર ભુજ નહીં પરંતુ કચ્છ તેમજ બૃહદ કચ્છ તેની ઉજવણી કરે છે. વર્ષોથી ચાલી આવતી હમીરસર તળાવને વધાવવાની પરંપરા અન્ય ક્યાંય જોવા મળે તેવી નથી.
કચ્છના રાજવી રાઓ દેશળજીએ હમીર તલાવડી ને વિસ્તારી તેને હમીરસર તળાવ બનાવ્યું હતું. અને એ સમયથી જ જ્યારે પણ તળાવ છલકાય ત્યારે તેને વધાવવા મહારાવ પોતે હમીરસર કિનારે જતા. તો સાથે જ તળાવને વધાવવા વિશાળ સંખ્યામાં ઉમટી પડેલી જન મેદની માટે મેઘલાડુનો આયોજન મહારાવ તરફથી કરવામાં આવતું હતું.
આઝાદી બાદ આ તળાવ વધાવવાની તક શહેરના પ્રથમ નાગરિક એટલે કે નગરપાલિકાના પ્રમુખને મળી. નગરપતિ દ્વારા તે જ રાજાશાહી અંદાજે શોભાયાત્રા યોજી તળાવની પાળે જઈ તળાવની પૂજા કરી તેને વધાવવામાં આવે છે. તો રાજાશાહી વખતે યોજાતી મેઘલાડુની પરંપરા પણ તત્કાલીન નગરપતિ ઈશ્વર બુચના પત્ની મૃદુલા બુચ દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા હોદ્દેદારો અને કર્મચારીઓને આ મેઘલાડુના જમણમાં આમંત્રણ મળતું. તો ત્યારબાદ આ આયોજનમાં શહેરના અન્ય આગેવાન નાગરિકોને પણ આ માટે આમંત્રણ મળ્યું થયું.
ગઇકાલે ગુરુવારે તળાવ છલકાતા એકી વેળાએ સાગર કચ્છમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ભુજના હૃદયને જોવા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો સોશ્યલ મીડિયા પર એકબીજાને વધામણી આપવામાં આવી હતા. આજે પરંપરાગત રીતે તળાવને વધાવવા નગરપાલિકાથી શોભાયાત્રા નીકળી હમીરસર તળાવ પહોંચી હતી. નગરપતિ ઘનશ્યામ ઠક્કર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યના હસ્તે તળાવને વધાવવામાં આવ્યું હતું ત્યારે ચારેય કોર શહેરજનો આ ક્ષણને માણવા ઉમટી પડ્યા હતા.
તો હમીરસર સાથે જ ભુજના દેશળસર તળાવને પણ પાલિકા ઉપપ્રમુખ રેશમા ઝવેરીના હસ્તે વધાવવામાં આવ્યું હતું. નગરપતિ ઘનશ્યામ ઠક્કર આ ઐતિહાસિક તળાવને વધાવવાની ક્ષણનો આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સમગ્ર શહેર માટે મેઘલાડુનું જમણ યોજવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર