રાજકોટ: ગુજરાતના (Gujarat) સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના 65માં જન્મદિવસે (CM Vijay Rupani Birth Day) રાજ્યકક્ષાનો 'સંવેદના દિવસ' (Samvedna Divas) રાજકોટ (Rajkot) ખાતે ઉજવાયો હતો. જેમાં તેમણે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોનાકાળમાં 18 વર્ષની નીચેના બાળકનાં એક વાલી પણ ગુજરી ગયા હશે તેમને રાજ્ય સરકાર દરમહિને બે હજાર રુપિયા આપશે. આ સાથે સીએમ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોની શરૂઆત કરી છે.
આજે સંવેદના દિવસે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં કોરોનાથી માતા-પિતા ગુમાવવાના કારણે નિરાધાર બનેલાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.4 હજારની સહાય સીધી જ તેમની બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. જુલાઇ મહિનાની આ રકમ બાળકોનાં ખાતામાં જમા થઇ ગઇ છે અને ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં આ રકમ જમા થઇ જશે.
'મહામારીમાં એક વાલી ગુમાવનાર બાળકનાં ખાતામાં 2000 રુપિયા જમા થશે'
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, જે બાળકોએ માતા-પિતા બેમાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે, તેવાં બાળકોને પ્રતિમાસ રૂ. 2 હજારની સહાય ડીબીટી મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપવાનો નિર્ણય લેવાયો છે.
આ સાથે રાજ્યના 248 તાલુકા અને 156 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં 29 સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યભરમાં સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય આપવામાં આવી હતી.
" isDesktop="true" id="1120283" >
સીએમ રૂપાણી સવારે વજુભાઇ વાળાને મળ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. 2 ઓગસ્ટ તેમના 65મા જન્મદિવસે સવારે ભાજપના દિગ્ગજ નેતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળાના વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવ્યા હતા. PM મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.