ભાવનગર: ભાવનગર-ઓખા ટ્રેન (Bhavnagar Okha train) સાથે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ છે. સણોસરા-ધોળા ટર્નિંગ પોઈન્ટ પર ઈલેકટ્રીકનું (Electric train) કામ ચાલે છે. તે વાયર ટ્રેક પર પડતા રેલ્વે તંત્ર એલર્ટ થઈ ગયુ હતુ. જે બાદ સુરેન્દ્રનગરથી ભાવનગર આવતી ટ્રેનને ધોળા અને ભાવનગરથી ઓખા જતી ટ્રેનને સણોસરા પાસે રોકી દેવામાં આવી હતી.
જો ટ્રેન રોકવામાં 5 મિનિટની પણ ચૂક થઇ હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ હતી. રેલવે ટ્રેક પર ધોળા-પીપવાવની OHE ઇલેક્ટ્રિક ટ્રેઇનની લાઇન જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો હતો. તાકીદે રેલવે કર્મીઓને આ અંગેની જાણ થતાં સણોસરા રેલવે સ્ટેશને જાણ કરી ટ્રેઇનને સણોસરા જ રોકી દેવામાં આવતા સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી છે.
ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાતે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી રાત્રે 11:15ની આસપાસ આ ટ્રેન ધોળા પહોચે છે. પરંતુ ટ્રેનના ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની રેલ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળતા ટ્રેન ધોળા પહોંચે તે પહેલા જ સમય સુચકતા વાપરીને ટ્રેનને સણોસરા નજીક રોકી લેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનમાં સવાર હજાર જેટલા મુસાફરો હેરાન થયા હતા પરંતુ કોઇ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાત્રિ દરમ્યાન જાણ થતાની સાથે જ રેલવેનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ અને તાત્કાલિક ધોરણે જીવતા વીજ વાયરને ટ્રેક પરથી હટાવી ભાવનગર ઓખા ટ્રેનને પસાર કરી દેવાઈ હતી. હાલ ધોળા-ભાવનગર રેલવેના અધિકારીઓ ત્યાં સ્થળ પર પહોંચી વાયરના પુનઃ જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વાયર શા કારણે તૂટ્યો તે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.