રાજકોટ : રાજકોટ શહેરની કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો તેમના પરિવારજનોએ જણાવ્યું છે. બીજી તરફ ડોક્ટરે કહ્યું કે તમામ દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ વચ્ચે ભક્તિનગર પોલીસે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે.
હોસ્પિટલ વિસ્તારમાં જ આવેલા ભક્તિનગર પોલીસે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓકસિજનનો જથ્થો પુરો પાડી અનેક દર્દીઓનો જીવ બચાવી માનવતા મહેક પુરી પાડી છે. આજ રોજ ગાયત્રી નગર મેઇન રોડ ઉપર આવેલ કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખુટી જાય તેમ હોય તેવી માહિતી વહેલી સવારે ભકિતનગર પોલિસને મળતા પી આઇ જે.ડી.ઝાલા દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને વહેલી સવારના પાંચ વાગ્યે જાણ કરતા પોલીસ કમિશ્નરે તાત્કાલિક OSDને જાણ કરી ઓક્સિજન વિક્રેતાઓ સાથે તાત્કાલિક સંકલન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ઓક્સિજનના જથ્થો પ્રોવાઇડ કરવામાં પાંચ છ કલાકનો સમય લાગે તેમ હોય પરંતુ પોલીસ દ્વારા પ્રયત્ન કરવાથી તાત્કાલિક જ ઓક્સિજનનો જથ્થો કુંદન કોવિડ હોસ્પિટલએ પહોંચતો કરાવ્યો હતો. સમયસર ઓક્સિજન મળી જતા દાખલ રહેલ કોવિડ દર્દીઓનો જીવ બચાવી દર્દીઓના સગા વહાલાના ચેહરા ઉપર સ્મિત લાવવામાં પોલીસ સફળ રહી હતી.
" isDesktop="true" id="1090571" >
ભકિતનગર પોલીસ સ્ટાફે પોતાની ફરજ ઉપરાંતની માનવતા માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઓક્સિજનની ભારે તંગી સર્જાઇ હોવાના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા હતા. જુદી જુદી હોસ્પિટલ દ્વારા આ મામલે કલેકટરને પત્ર પણ લખવામાં આવ્યા હતા. ગઈકાલે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં 100 મેટ્રિક ટન ઓક્સિજન રાજકોટને આપવાની વાત કહી હતી.