સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દરમિયાન કમોસમી વરસાદ (Rain) વરસવાની સંભાવના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મોસમ વિભાગ (Junagadh Krushi University) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતાઓ છે, ત્યારે ખેડૂતોને કેટલીક તકેદારીઓ રાખવા માટે જણાવાયું છે.
અરબી સમુદ્રના પૂર્વ મધ્ય અરબી સમુદ્રી ભાગમાં અને દક્ષિણ મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયાકાંઠાની આસપાસ એક લોપ્રેસર સિસ્ટમ બનેલી છે, તેના પ્રભાવને અનુસંધાને આગામી તા.18,19 અને 20 નવેમ્બર એટલે કે, આગામી ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો જેવાકે; અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ હળવા વરસાદની શક્યતાઓ હાલ જણાય રહી છે.
કમોસમી વરસાદ પડવાની સંભાવનાને લઈને ખેડૂતમિત્રોએ ખાસ તકેદારીના ભાગરૂપે પોતપોતાના ખેતરોમાં તૈયાર થયેલ પાકને સલામત સ્થળે પહોંચાડવો જોઈએ. આગામી રવિ પાકની તૈયારી કરી રહ્યાં હોય તો, હાલ આ સમય દરમિયાન તે આયોજન મોકૂફ રાખવું હિતાવહ છે. જો રવિ પાક વાવેતર થઈ ગયું છે, તો દવા છંટકાવ અને ખાતર આપવાની કામગીરી પણ હમણાં ન કરવી. ઘાસચારનો પાક જો ખેતરમાં ખુલ્લો પડેલો હોય તો તેની સલામતી માટે તેને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.