જામનગર: જામનગરમાં બુધવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ઠંડીનું જોર પણ અચાનક વધી ગયું હતું. સુરજદાદા વાદળોની પાછળ સંત્તાઇ ગયા હતા જેના કારણે વિઝિબીલિટી ઓછી થઈ ગઈ હતી. બીજી બાજુ હવામાન ખાતા દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગર શહેર તથા જિલ્લામાં બુધવારે એકાએક ઠંડીનું જોર વધી ગયું હતું, વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તો બપોરના સમયે પણ સુરજ દાદાએ દર્શન દીધા ન હતા જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, મરચા અને લસણની આવક બંધ કરવામાં આવી હતી. સાથે જ મગફળીની વાહનમાં જ હારરાજી કરવામાં આવશે તથા જનસ લઈને આવતા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સાથે મોટી તાલપત્રી લઈને જરૂર આવવું.
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ પટેલે અખબારી યાદીમાં જણાવ્યું કે APMC જામનગર દ્વારા દરેક કમિશન એજન્ટ ભાઈઓને જણાવવામાં આવ્યું કે મંગળવાર સાંજે 7 વાગ્યાંથી સવારના 7 વાગ્યાં શુધી મગફળી (પાલ ) ની આવક ચાલુ રહેશે ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધીમાં અવાક બંધ રહેશે. એટલું જ નહીં મગફળી (પાલ )ની હારરાજી વાહનમાં જ થશે જ્યાંસુધી હારરાજી થાય ત્યાં સુધીમાં વાહન રાખવું ફરજીયાત છે અને સાથે તાલપત્રી ખાસ લઈને આવવું.