કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલથી lockdownના સમય દરમિયાન આપવામાં આવનાર કેટલીક છૂટછાટના નિયમોની guideline બહાર પાડવામાં આવી હતી, જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટેની કરિયાણાની દુકાનો તથા દવાની દુકાનોની સાથે-સાથે ઇ-કોમર્સ કંપનીઓને પણ છૂટછાટ આપવામાં આવી હતી.
આ સંદર્ભમાં ગુજરાતના નાના વેપારીઓના મંડળે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને રજૂઆતો કરી જણાવ્યું હતું કે, નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ-કોમર્સ કંપનીઓને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. ઘણાં સમયથી વેપાર-ધંધા બંધ હોવાને લીધે નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી છુટને લીધે નાના વેપારીઓને ધંધામાં ઘણું નુકસાન થશે.
આ રજૂઆતને ધ્યાનમાં લઈને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી, નાના વેપારીઓની લાગણી તેમના સુધી પહોંચાડી હતી. તેમજ કેન્દ્રીય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવીયા સાથે પણ વાતચીત કરી ઘટતું કરવા વિનંતી કરી હતી.
કેન્દ્ર સરકારે નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનમાં સુધારો કરી આજે જાહેર કર્યું હતું કે, lockdown ના સમય દરમિયાન ઈ કોમર્સ ને આપેલી છૂટછાટ પરત ખેંચવામાં આવે છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નાના વેપારીઓના હિત માટેના કેન્દ્ર સરકારના આ નિર્ણયને સહર્ષ આવકારી ગુજરાતના નાના વેપારીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.