મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે, તેમના બેન્ક ખાતામાં સોમવાર 20 એપ્રિલથી રાજ્ય સરકાર એક હજારની રકમ જમા કરાવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન ળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી આવા 66 લાખ NFSA કાર્ડધારકોના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા એક હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
સોમવાર 20 એપ્રિલથી આવા 66 લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડી.બી.ટી.થી 1000 રૂપિયા જમા કરાવવાનો પ્રારંભ થશે. જેની શરૂવાત છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના લાભાર્થીઓના ખાતાઓમાં સીધા એક હજાર રૂપિયા જમા કરાવી કરવામાં આવશે.
આ નિર્ણયને પરિણામે રાજ્ય સરકારને 660 કરોડનું વધારાનું ભારણ પડશે. આ સહાય મેળવા લાભાર્થી પરિવાર-કાર્ડધારકે કોઇ વધારાના ફોર્મ્સ ભરવા કે ફોર્માલિટીઝ કરવી પડશે નહિ. રાજ્ય સરકાર પાસે આવા 66 લાખ લાભાર્થીઓનો ડેટાબેઇઝ ઉપલબ્ધ છે, તેના આધારે સીધા જ તેમના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા એક હજાર જમા કરાવવામાં આવશે.