ગાંધીનગર : રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પ્રત્યેક ઢોરને પ્રતિ દિન રૂપિયા 25ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સહાય આગામી ત્રણ માસ એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચૂકવાશે. આ મુદ્દે જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે પાંજરાપોળના સંચાલકો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે.
નિતીન પટેલે કોરોના ટેસ્ટ સંદર્ભે પણ આજે મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇને અને નાગરિકોના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો આજે વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રૂપની બેઠકમાં નિર્ણય કરાયો છે.
તેમણે કહ્યું કે કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે.
" isDesktop="true" id="1025739" >
તેમણે ઉમેર્યુ કે ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા 2500 નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા 1500 કરવામાં આવ્યા છે, એટલે કે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા .તેનો દર રૂપિયા 3000 વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા 1000નો ઘટાડો કરાયો છે. એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા 2000 માં કરવામાં આવશે.