ન્યૂઝ 18 ગુજરાતી : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પ્રેમ લગ્નના કરૂણ અંજામનો સિલસિલો ચાલી રહ્યો છે. અમદાવાદના માંડલ પાસે આવેલા વરમોર ગામે રાજપુત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવકની હત્યા થઈ અને ત્યારબાદ રાજ્યમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને સામાજિક માહોલ ગરમાયો. બે દિવસ અગાઉ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું અને જાહેરાત કરી કે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દિકરા-દીકરીના પિતાએ દંડ ભરવો પડશે. આ તમામ ઉકળાટ વચ્ચે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુરૂવારે સવારે એક ફેસબુકમાં એક પોસ્ટ મૂકી છે. મેવાણીએ આ પોસ્ટમાં લખ્યું કે જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે અને અપીલ કરી કે આપણે આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ અને એ બાબતે જે કઈ પણ મદદ જોઈએ મારો અથવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરવો
મેવાણીએ ફેસુબકમાં લખ્યું ' જે પ્રેમ ના કરી શકે એ ક્રાંતિ ન કરી શકે:જે સમાજે પ્રેમ-લગ્નો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એના આગેવાનો સાથે સંવાદ કરીશું. પણ, આપણે તો અંતરજ્ઞાતિય લગ્ન કરવા જ. એ બાબતે જે પણ મદદ જોઈએ, વકીલ કરવાથી લઈને, પોલીસ ફરિયાદ કરવાથી લઈને, રક્ષણ સુધીની તમામ મદદ માટે મને વ્યક્તિગત અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની અમારી ટીમને ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. સેકટર-21, એમ.એલ.એ.ક્વાર્ટરના દ્વાર સૌ જરૂરતમંદો માટે ખુલ્લા જ છે. અગાઉ પણ આ મુજબની પોસ્ટ મૂકેલ છે અને તાજી ઘટનાઓના સંદર્ભમાં ફરી આ પોસ્ટ મૂકી રહ્યો છું. પરસ્પરની સહમતિ હોય અને પ્રેમ લગ્ન કરવા જેટલી કાયદેસર ઉમ્મર હોય તો પ્રેમ કરવો, ભરપૂર કરવો, પ્રેમ લગ્ન પણ કરવા, જે પ્રેમ ન કરી શકે, જે સમાજ એ માટે છૂટ આપવાને બદલે બંધનો લાદે, એ સમાજ કે એના નેતાઓ કદી ક્રાંતિ ન કરી શકે.'
દીકરીઓને દૂધપીતી કરવાની પોસ્ટથી વિવાદ
દરમિયાન અખિલ ઠાકોર ક્ષત્રિય સમિતીના પ્રમુખ નવઘણ ઠાકોરે ફેસબુકમાં એક પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે જે દીકરી સમાજની બહાર લગ્ન કરે તેને જૂના રિવાજ મુજબ દૂધપીતી કરો. આ પોસ્ટ બાદ સામાજિક ધમસાણ મચી ગયું હતું. ચોમેરથી નવઘણજી ઠાકોરનો વિવાદ થઈ રહ્યો હતો. દરમિયાન નવઘણજીએ ફરીથી કહ્યું કે સમાજની દીકરીઓને ભણી ગણી IPS,MLA,MP જે બનવું હોય તે બને પણ લગ્ન તો સમાજમાં કરવું પડશે.
ગેનીબેન ઠાકોરનો પણ વિરોધ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નવઘણજી ઠાકોરની પોસ્ટનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને ભણાવી ગણાવી અને સક્ષમ બનાવવાની કવાયત થતી હોય ત્યારે દૂધપીતી કરવાની વાત સ્વીકાર્ય નથી. જોકે, ગેનીબેને આંતરજ્ઞાતિય લગ્નની વિરૂદ્ધ બનેલું સમાજનું બંધારણ યોગ્ય ગણાવ્યું હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર