અમદાવાદ: રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદ (heavy rain in gujarat)થી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે તેમ આજે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
રાહત કમિશનરે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 262412 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 78.55% છે. જ્યારે રાજયનાં 206 જળાશયોમાં 339027 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 60.74% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –53, એલર્ટ ૫ર કુલ-9 તેમજ વોર્નીગ ૫ર કુલ -17 જળાશય છે.
તેમણે કહ્યું હતું કે, રાજયમાં હાલ કુલ NDRFની 13 ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમી દ્વારકા-1, ગીરસોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ કુલ -13 NDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે, જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.