Home /News /gujarat /ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી
ફાઇલ તસવીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે.
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યુ હતુ કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણ શુક્લે આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
મંત્રી પટેલે કહ્યુ હતુ કે, ‘સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1 કટ્ટા દિઠ 100 રૂપિયા એટલે કે, 1 કિલોએ 2 રૂપિયા અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા 50 હજાર રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત 70 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલી રજૂઆત અન્વયે અગાઉ અપાયેલી બટાટાની સહાયના ધોરણે લાલ ડુંગળી માટે સહાય યોજના માટે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલા ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે 20 કરોડની સહાય જાહેર કરી છે.’
આ ઉપરાંત મંત્રીએ જણાવ્યુ હતુ કે, બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. આ સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિત લક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ 50 રૂપિયા અને વધારેમાં વધારે 600 કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તારીખ 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત 200 કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનારા ખેડૂતને એક કટ્ટા દીઠ 50 એટલે કે એક કિલોગ્રામે 1 રૂપિયા અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 600 કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય આપવામાં આવશે.
મંત્રીએ કહ્યુ હતુ કે, સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ખેડૂત ઘરે બેઠાં જ પોતાના મોબાઈલથી અથવા ગ્રામ પંચાયત ખાતેથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકશે. આ સહાય યોજના બદલ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર