Home /News /gujarat /ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવેથી ધારાસભ્યો ભણાવશે !
ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવેથી ધારાસભ્યો ભણાવશે !
"ઉચ્ચ શિક્ષણ" એટલે શું તેવી જેમને ગતાગમ નથી, જે સ્વયં ધક્કા ખાતા-ખાતા 8 થી માંડી 12 ચોપડી ભણ્યા છે, તે હવે યુનિવર્સિટી શિક્ષણમાં માર્ગદર્શન આપશે। વાહ, શું બલિહારી છે ગુજરાતના શિક્ષણની ?
"ઉચ્ચ શિક્ષણ" એટલે શું તેવી જેમને ગતાગમ નથી, જે સ્વયં ધક્કા ખાતા-ખાતા 8 થી માંડી 12 ચોપડી ભણ્યા છે, તે હવે યુનિવર્સિટી શિક્ષણમાં માર્ગદર્શન આપશે। વાહ, શું બલિહારી છે ગુજરાતના શિક્ષણની ?
આપણા રાજ્યના શિક્ષણમંત્રી બહુમુખી પ્રતિભા ધરાવે છે કે આપણી પ્રજા બેવકૂફ છે એ કળી શકાતું નથી ! છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ ક્ષેત્રે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે જોતા લાગે છે કે, નવી પેઢીને તૈયાર કરી શકે તેવા અને દેશના ભાવિનું ઘડતર કરવામાં નિમિત્ત બને તે શિક્ષણનું ક્ષેત્ર ગુજરાતમાં તો સંપૂર્ણ "ખાડે" ગયું છે. પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર -શિક્ષણની કોઈપણ સંસ્થામાં વ્યાસાયિકો સાથે શિક્ષણ વિભાગે જે ખુલ્લેઆમ દેખાતું "સેટિંગ" કરી નાખ્યું છે, તે હવે તો નારી આંખે દેખાવા લાગ્યું છે ! બેશરમીની પણ હદ હોય કે ?
ચાલો, મુદ્દાસર વાત કરીએ :
આજે વિધાનસભામાં કેટલીક મહત્વની જાહેરાતો થઇ. તદનુસાર, "ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પાંચ ધારાસભ્યોની સર્વાનુમતે નિમણુંક કરાશે". શા માટે ભાઈ ? ઓછી દરમિયાનગીરી હતી તે હવે સત્તાવાર રીતે નિમણૂંક કરીને 'સળી" કરશો!
રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિપદે અભ્યાસુ અધ્યાપકો કે શિક્ષણવિદો તો છે જ નહિ. તમામ જાણીતી કહી શકાય તેવી પ્રદેશની તમામ વિસ્તારની યુનિવર્સિટીઓમાં સત્તાધારી પક્ષના "પીઠ્ઠું" કે "કઠપૂતળી" સમાન કુલપતિઓ છે ! ક્યારેક વળી તેમનો 'આત્મા' જાગી જતો હશે ત્યારે એ "બિચારાઓ" ભૂલથી થોડું શિક્ષણને લગતું કામ કરી લેતા હતા. આજે તો સરકારે એમાં પણ સત્તાવાર તરાપ મારી.
હવેથી સત્તાધારી પક્ષના જે ધારાસભ્યોને "કંઈ મળ્યું" નથી તેમની ભૂખ શાંત કરવા, રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રણ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં બે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એક, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં બે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બે સહીત લગભગ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં બે-બે ધારાસભ્યોની સર્વાનુમતે નિમણુંક કરશે।
"ઉચ્ચ શિક્ષણ" એટલે શું તેવી જેમને ગતાગમ નથી, જે સ્વયં ધક્કા ખાતા-ખાતા 8 થી માંડી 12 ચોપડી ભણ્યા છે, તે હવે યુનિવર્સિટી શિક્ષણમાં માર્ગદર્શન આપશે। વાહ, શું બલિહારી છે ગુજરાતના શિક્ષણની ?
ખરેખર, જેના નામથી આ યુનિવર્સિટીઓના નામ પડ્યા છે : સરદાર પટેલ, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, હેમચંદ્રચાર્યજી તેમનો તો "આત્મો" કકળી ઉઠતો હશે. વીર નર્મદ જો જીવતો હોત તો ફરી નગારે ઘા દેત, દાંડી પીટતો અને "ડાંડીયા"ના માધ્યમથી આ સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગના છોતરા ફાડી નાખતો ।
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર