ગાંધીનગર : રાજ્યમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોને આવતીકાલે 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ આવતીકાલે વેકસીન લેશે. ગાંધીનગર પાસે આવેલા ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે નવ વાગ્યે તેઓ વેકસીન લેવા પહોંચશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સીએમ રૂપાણીએ તમામ સિનીયર સિટીઝનને વેકસીન લેવા અનુરોધ કર્યો છે. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અંજલિ બેન પણ સિનીયર સિટીઝન હોવાથી બીજા તબક્કામાં વેકસીન લેશે.
આ પણ વાંચો - આ ગામમાં એક પણ મત ના પડ્યો, જાણો કેમ ગામલોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવનાર છે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.
આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી. 60 વર્ષથી વધુની વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર, પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.
Published by:Ashish Goyal
First published:February 28, 2021, 22:05 pm