કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે પસાર કરવામાં આવેલ ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો એ વિરોધ કરી રહ્યા છે.ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે પ્રદેશ ભાજપ દ્વારા 10 સ્થળોએ કૃષિ સંમેલનો કરી ખેડૂતોને જાગૃત કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ગુજરાત ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યુંં હતુંં કે ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે MSP ની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે.
આ પણ વાંચો : સુરત : આડા સંબંધમાં નડતર મહિલાના પતિની કરી હતી હત્યા, 10 વર્ષે આરોપી રાજકોટથી ઝડપાયો
કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને 10 પત્રકાર પરિષદ પણ યોજાશે.
આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ,સંસદસભ્ય, ધારાસભ્ય ઉપસ્થિત રહેશે.આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જી એ સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો,યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.17 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલ જી. ના મોરવા હડફ, કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી રાજકોટ જી.ના પડધરી, રાજય કૃષિ મંત્રી આર.સી.ફળદુજી અમરેલી જી.ના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં ગોરધનભાઈ ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે.
તા.18 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નવસારી જી.ના ચિખલી અને તા.19 ડિસેમ્બરના રોજ આણંદ જીલ્લાના કરમસદ ખાતે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા કચ્છ જી.ના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢ જીલ્લાના કેશોદ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાજી મહેસાણાના વિજાપુર ખાતેના કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે.
આ પણ વાંચો : સુરત : લાલુ જાલીમ ગેંગનો આતંક, કતારગામમાં મકાન પડાવવા વેપારીના પુત્રનું અપહરણ કરી હાથપગ ભાંગી નાખ્યા
આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે. તેમશ્રી પંડયા એ અંતમાં જણાવ્યું હતું.