કેતન પટેલ, મહેસાણા : મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની વિકાસ પેનલ અને અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આજે આ ચૂંટણીના 15 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલના 13 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જ્યારે 2 બેઠક પર વિકાસ પેનલની જીત થઇ છે. પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગરના ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથને મોટો ફટકો પડ્યો છે. ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર થઇ છે.
15 બેઠક પર 41 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 99.11 ટકા મતદાન થયું હતું.
ડેરીના સ્થાપક માનસિંહ પટેલના પુત્ર વિપુલ ચૌધરીની કારમો પરાજય થતા તેમના શાસનનો અંત આવ્યો છે. વર્ષો સુધી ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ લાગ્યા હતા. વાર્ષિક 5800 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધસાગર ડેરી સાથે 6 લાખ 50 હજાર પશુપાલકો અને 1129 મંડળીઓ જોડાયેલી છે.
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે.