અમદાવાદ : ગુજરાતમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 175 પર પહોંચ્યો છે. જામનગરમાં 14 મહિનાના કોરાના પોઝિટિવ બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકને 5 તારીખે એડમિટ કરવામાં આવ્યો હતો. બાળક જ્યારથી એડમિટ થયું હતું, ત્યારથી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયા સમયથી જ સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી મંગળવારે બાળકનું મોત થયું છે.
સુરતમાં બે દર્દી અને પાટણમાં પણ એકનું મોત થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. મંગળવારે બપોર બાદ અમદાવાદમાં 6, રાજકોટમાં એક, સુરતમાં ત્રણ અને વડોદરામાં એક નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 30 દર્દી નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ 176 દર્દી થયા છે અને 16ના મોત થયા છે. જ્યારે 25 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે તબલીગી જમાતના લોકોએ પોતાના પ્રવાસની વિગત છૂપાવી અને સ્વાસ્થ્ય વિભાગ સુધી ન જતા કોરોનાનું રાષ્ટ્રવ્યાપી સંક્રમણ પ્રસરાઈ ગયું છે. રાજ્યમાં પણ તબલીગી જમાત સાથે સંકળાયેલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે આ સ્થિતિમાં લૉકડાઉન ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકારના હાથમાં છે.