Home /News /gir-somnath /Gujarat Election 2022: ઉના વિધાનસભા બેઠક પર પુંજા વંશનું વર્ચસ્વ, શું આ વખતે તેમનો વિજય થશે?
Gujarat Election 2022: ઉના વિધાનસભા બેઠક પર પુંજા વંશનું વર્ચસ્વ, શું આ વખતે તેમનો વિજય થશે?
ચૂંટણીને ગણતરીના દિવસો બાકી
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે એક એવી વિધાનસભા બેઠકની વાત કરીશું જ્યાં 3 દાયકાથી એક નેતા ચૂંટાઈ આવે છે. જે ગુજરાતની ગણી ગાંઠી વિધાનસભા બેઠક પૈકીની એક છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાતમાં માત્ર બેથી ચાર વિધાનસભા બેઠક એવી હશે જ્યાં 5 ટર્મથી એક જ વ્યક્તિ ચૂંટાતા આવ્યા હોય છે. આ પૈકીની એક વિધાનસભા ગીર સોમનાથમાં પણ છે. વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભાની જ્યા એક જ વ્યક્તિ લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. આ બેઠક આમ તો પહેલા જૂનાગઢ જિલ્લામાં આવતી હતી, પરંતુ વર્ષ 2013માં જૂનાગઢમાંથી ગીર સોમનાથ જીલ્લો અલગ થતાં હવે આ ઉના વિધાનસભા બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવે છે.
લાંબા સમયથી ઉના વિધાનસભા પર નેતૃત્વ
આ બેઠક પર 1990માં જનતા દળના ઉમેદવાર પુંજાભાઈ વંશ પ્રથમવાર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર સામે જીત થઈ. બસ ત્યારથી આ કોળી કદાવર નેતા પૂંજા વંશ સતત ઉના વિધાનસભાનું નેતૃત્વ કરી રહ્યા છે. 1990 બાદ જનતાદળનું કોંગ્રેસમાં વિલીનીકરણ થયું અને 1995માં પૂંજા વંશ ભાજપના ઉમેદવાર સામે ફરી એકવાર જીત્યા. ત્યારથી અત્યાર સુધીમાં જો પુંજાભાઈ વંશને ફક્ત એક જ વખત 2007માં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર કાળુભાઈ રાઠોડ સામે પૂંજા વંશ પોતાની પરંપરાગત બેઠક જાળવવા નિષ્ફળ રહ્યા અને ભાજપનો ભવ્ય વિજય થયો.
કોઈ એક વિધાનસભા પર સતત વર્ચસ્વ જમાવીને ચૂંટણીઓમાં જીત મેળવવી કોઈપણ રાજનેતા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. પ્રતિભાને જાળવી રાખવા માટે પણ ધારાસભ્યોએ ખૂબ જ મહેનત અને અથાગ પરિશ્રમ કરવો પડતો હોય છે. પરંતુ ઉના વિધાનસભા બેઠક પર અત્યાર સુધી પૂજાભાઈ વંશને બાદ કરતા અને પાછલા બે દાયકા કરતાં વધુ સમયથી કોઈ રાજનેતા પ્રતિભાવાન બનીને સામે આવ્યા નથી. જેને કારણે દર વર્ષે પુંજાભાઈ વંશ સતત મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે કે ઉના વિધાનસભા બેઠક પર શિક્ષણનું ઓછું પ્રમાણ પણ સચોટ અને પ્રતિભાવાન રાજનેતાઓને બહાર લાવવા માટે અવરોધ બની રહ્યું છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોળી સમાજના કદાવર નેતા પુંજાભાઈ વંશ ભલે છેલ્લા ત્રણ દાયકાથી ઉના વિધાનસભાનું નેતૃત્વ કરતા હોય પરંતુ બે વાર કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી પણ હારી ચૂક્યા છે. તો બીજી તરફ ઉના ભાજપમાં સંકલનના અભાવના કારણે પણ પુંજાભાઈ વંશ ઉના વિધાનસભા બેઠક જીતવામાં ફાવી જાય છે. સૌથી વધુ કોળી મતદારો ધરાવતી આ બેઠક પર ભલે પૂંજા વંશનો દબદબો રહ્યો હતો. જ્યારે એક વાત હાર્યા અને ફરી એકવાર 8મી વાર ઉમેદવારી કરી રહ્યા છે. ગુજરાત ભલે ઉધોગિક ક્ષેત્રે ગતિશીલ હોય પણ ઉના વિધાનસભાના મતદારો આજે પણ રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. કારણ કે પુંજાભાઈ એક પણ ઉદ્યોગ લાવવા સફળ રહ્યા નથી અને ઉનાના મતદારોને ઘરથી દૂર રોજગારી માટે ભટકવું પડે છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર