Abhishek Barad, Gandhinagar: સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ કે કોઈ પ્રસંગ વખતે આપણે વડીલો પાસેથી દર્ભ- દાભ શબ્દ સાંભળ્યો હશે. તો આવો જાણીએ સર્વ પ્રથમ દાભ એટલે શું?
શાસ્ત્રોમાં વર્ણિત દાભનો ઉપયોગ વિગેરે પર ચર્ચા કરીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર, ઉનાવા ધામના ધારાશાસ્ત્રી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે,દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે.
દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે. દાભ કે દર્ભ એ સૂકું લાબું ઘાસ જે બહુજ પાણી વાળી જગ્યા એ ઉગે છે. લીલું હોય ત્યારે તેનાં પત્તાની ધાર એટલી તિક્ષ્ણ હોય કે તે ઘસાય તો ચામડી કાપી નાંખે, લોહી નીકળે. પહેલાના સમયમાં બ્રાહ્મણો, ઋષિઓ તે સાવધાનતાથી કુશગ્રાહિણી અમાસ (શ્રાવણ માસની અમાસના દિવસે શ્લોકોચ્ચાર કરી પધારાવતા અને સુકાયા પછી વાપરતા.
ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે
ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના 11માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે. ઋષિમુનિઓ દર્ભના જ આસન પર બેસીને ધ્યાન કરતા હતા. હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. પૂજા યજ્ઞ વગેરેમાં તેની ચટ્ટાઈ બનાવી વાપરતા તેને દર્ભાસન કહેવાય.
વિવિધ ધાર્મિક કાર્યમાં ઉપયોગ
યજ્ઞ, હોમ, શ્રાદ્ધ, પિંડદાન હવન જેવી ધાર્મિક વિધિ કરાવતી વખતે તેની વીંટી કે કડુ કે કંકણ બનાવી યજમાન જે વિધિમાં બેસે તેને બાંધતા. વિધિ પુરી થાય ત્યારે જ કાઢી નાખવામાં આવે. આ પહેરવાથી તે યજમાન પહેરે ત્યાં સુધી તે શાસ્ત્ર ક્રિયા કરવા ઉત્તમ પવિત્ર શુદ્ધ મનાતો. તેને લૌકિક બાધા અશૌચ જેવી કે સૂતક પિંડરૂ સ્પર્સ ન કરે તેવું શાસ્ત્ર વચન છે. એટલા દિવસ તેણે સ્નાન કરવાનું હોતું નથી પણ શુદ્ધતા યથાવત ગણાય છે. એટલી દર્ભમાં શાસ્ત્રોક્ત પવિત્રતા કહેલી છે.
દર્ભનું વૈજ્ઞાનિક મહત્વ
દર્ભમાં લગભગ 60% (એક્સ-રે) કિરણોત્સર્ગ શોષાય છે,તેથી સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ સમયે ગ્રહના કિરણોત્સર્ગથી બચાવવા માટે ઘરના તમામ ખાદ્ય વાસણમાં આ પવિત્ર ઘાસ રાખવામાં આવે છે. હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગથી બચાવવા માટે તમામ ખાદ્ય વસ્તુઓને આવરી લેવા માટે થાય છે. આપણા ઋષિઓ આજના વૈજ્ઞાનિકો કરતા વધારે જ્ઞાન ધરાવતા હતા, આવી ઘણી બાબતોમાં આજે વિજ્ઞાન પ્રાચીન મહાન ઋષિઓના શોધને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જયારે આપણે આજે અન્ય ધર્મીઓ કરતાં વધુ નાસ્તિક, શાસ્ત્રીય પ્રમાણોને અવૈજ્ઞાનિક, અંધશ્રધ્ધા યુકત બતાવી મનસ્વી વર્તન કરી રહ્યાં છે. જેને કારણે અકલ્પિત રોગો, ઘટનાઓ તેમજ વિધર્મીઓ સાંસ્કૃતિક આક્રમણોના ભોગ બની રહ્યાં છે.