Development of Deendayal: પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) ધોરણે કન્ટેનર ટર્મિનલના વિકાસને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસથી દરિયાઇ માર્ગે વેપાર માટે ગુજરાત અન્ય રાજ્યો માટે મહત્વનું સ્થાન બની રહેશે. ગુજરાત દેશમાં 40 ટકા કાર્ગો હેન્ડલીંગ કરે છે.
Development of Deendayal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે. 4,243.64નો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે, જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં કન્ટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે.
આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપી રોજગારીનું સર્જન કરશે
2025 સુધીમાં, 1.88 મિલિયન TEUs નો નેટ ગેપ ઉપલબ્ધ થશે, જે તુણા ટેકરી દ્વારા પૂરો કરી શકાય છે. તુણા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલનો વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ પણ છે. કારણ કે, તે બંધ કન્ટેનર ટર્મિનલ હશે જે ઉત્તર ભારતના વિસ્તારોના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત, આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આ દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસ માટેના કાર્યને મંજૂરી આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.
ગુજરાતનું દેશના કાર્ગો હેન્ડલીંગમાં 40 ટકાનું યોગદાન
તેમણે જણાવ્યું છે કે, 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં 40 ટકાનું યોગદાન આપે છે. હવે, દીનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રીય કેબિનેટની મળેલી મંજૂરીના પરિણામે ગુજરાત દરિયાઇ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે. એટલું જ નહિ, પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત વધુ સક્રિયતાથી યોગદાન આપી શકશે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર ઓપરેટર દ્વારા BOT ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
વાર્ષિક 2.19 મિલિયન TEUsની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ
30 વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે કન્સેશનર અને કન્સેશન ઓથોરિટી (દીનદયાળ પોર્ટ) દ્વારા અમલ કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમજ સંચાલન અને જાળવણી માટે કન્સેશનર જવાબદાર રહેશે. કન્સેશનિંગ ઓથોરિટી કોમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે. આ પ્રોજેક્ટમાં 4,243.64 કરોડના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફ-શોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક 2.19 મિલિયન TEUsની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં આ પ્રોજેક્ટ 6000 TEUના 14 m ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે અને તેના માટે 15.50mની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે. જે ચોવીસ કલાક સુધી 14m ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે. તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. કન્સેશન પીરિયડ દરમિયાન કન્સેશનર પાસે 18mની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને કન્સેશનિંગ ઓથોરિટી અને કન્સેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે.
સતત 15મા વર્ષે દીનદયાળ પોર્ટ પ્રથમ સ્થાને
દીનદયાળ પોર્ટ ભારતના 12 મેજર પોર્ટ પૈકી એક છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલા ખાતે છે. આ પોર્ટ પરથી મુખ્યત્વે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સેવાઓ પહોંચે છે. ભારતના મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલીંગમાં, સતત 15મા વર્ષે દીનદયાળ પોર્ટ પ્રથમ સ્થાને છે. અહીં વર્તમાન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા 165 MTPAની છે અને 2030 સુધીમાં 300 મિલિયન ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા મેજર પોર્ટ નિર્માણનું મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 સાકાર થવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.