AMCનો પરિપત્ર આગળ ધરીને વીમા કંપનીઓ વળતર પર કાપ મુક્તા હતા
ગાંધીનગરનું કન્ઝ્યુમર કોર્ટે કોરાના સમયે ઇન્શ્યોરન્સ કંપનીઓને નકારેલા મેડિકલ ક્લેઇમ બાબતે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને ઇન્શ્યોરન્સ કંપનીએ આદેશ કર્યો છે કે.આ કેસ દરમિયાન તેને સહન કરવી પડેલી માનસિક યાતના માટે પણ વળતર આપવું.
Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરનું કન્ઝ્યુમર કોર્ટે કોરાના સમયે ઇન્શ્યોરન્સ કંપનીઓને નકારેલા મેડિકલ ક્લેઇમ બાબતે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને ઇન્શ્યોરન્સ કંપનીએ આદેશ કર્યો છે કે, કોરાનાનાં દર્દીને હોસ્પિટલમાં થયેલો ખર્ચ આપવો અને આ કેસ દરમિયાન તેને સહન કરવી પડેલી માનસિક યાતના માટે પણ વળતર આપવું. એક બાજુ કોરોનાના હિસાબે લોકોની આર્થિક પરિસ્થિતિ અને બીજી બાજુ વીમા કંપનીઓએ કોરોનાગ્રસ્ત લોકોના વીમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પરિપત્ર આગળ ધરી વળતર નહીં ચૂકવીને દર્દીઓને બેવડો માર પડેલો. આવા કેસોમાં રાહત આપે તેવો ચુકાદો આવ્યો છે.
કોરોના મહામારી દરમ્યાન વીમા કંપનીઓ દ્વારા અનેક લોકોના ઇન્સ્યોરન્સ રદ્દ કરેલા અથવા વળતર ઉપર કાપ મુક્યો હતો. એ બાબતે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં અરજદારની કોરોનાની સારવાર પાછળ થયેલા ખર્ચની રકમ વીમા કંપનીએ AMC પરિપત્ર આગળ ધરી કપાત કરેલી હતી. જે અનુસંધાને અરજદારે કન્ઝ્યુમર કોર્ટના દરવાજા ખખડાવી અરજી કરી હતી. જે અરજીમાં વીમા કંપનીએ અરજદારની કપાત કરેલી રકમ AMCના સર્ક્યુલર મુજબ ચૂકવેલી છે, તેવી દલીલ વીમા કંપનીના વકીલએ કરેલી. જ્યારે અરજદારના એડવોકેટ એ.વી. ત્રિવેદીએ આ સર્ક્યુલર વીમા કંપની કે અરજદારને કેમ લાગુ પડી શકાય નહીં તે અંગેની દલીલ વિસ્તારપૂર્વક કરેલી અને તેથી તે બંધનકર્તા પણ નથી તેવો તેમનો પક્ષ રાખેલો હતો. આમ અરજદારના એડવોકેટ અમિતાભ ત્રિવેદીની દલીલ માન્ય રાખી CC/136/2021ના કેસમાં ઠરાવી મહત્વનો વિસ્તારપૂર્વક 18 પાનાનો કોર્ટે ચુકાદો આપેલો છે. આ ચુકાદાથી અરજદારોને વીમા કંપનીએ કલેમની કાપેલી રકમનું વળતર લેવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવેલો છે.
કોર્ટે નોંધ્યુ કે, પ્રાઇવેટ હોસ્પિટલોએ ઈલાજના નામે દર્દીઓ પાસેથી ખૂબ જ વધારે પડતા ચાર્જ વસૂલીને રીતસરની લૂંટ ચલાવી છે, તેવી આકરી ટીકા પણ આ જજમેન્ટમાં કરી છે એટલું જ નહિ પણ જજમેન્ટના પાના નંબર 16 ના પેરેગ્રાફ- 11માં સ્પષ્ટપણે જણાવેલું છે કે સંબંધિત સત્તા આવી હોસ્પિટલ સામે કાયદેસર કાર્યવાહી કરવા સ્વતંત્ર છે તેમજ વીમા કંપની પણ આવી પ્રાઇવેટ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરી, આપવામાં આવેલા વળતરની રકમ હોસ્પિટલ પાસેથી મેળવવા કાર્યવાહી કરવા સ્વતંત્ર છે.
ગ્રાહક સુરક્ષા કોર્ટ વિશે.
consumer protection act 2019 amended કાયદો જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી ગ્રાહક અદાલતમાં ગ્રાહકોને ઝડપી ન્યાય મળે છે, તેમજ ગ્રાહક પોતે પણ અદાલતમાં આવીને આવા કેસ લડી શકે છે. હાલ ગાંધીનગરની અદાલતમના 50% કેસો ગ્રાહક પોતે લડી અને ન્યાય મેળવે છે. આ કોર્ટમાં કોઈ મોટો ખર્ચ પણ થતો નથી જ્યારે સિવિલ અદાલતોમાં વળતર મેળવવા માટે કોર્ટ ફી ચૂકવવી પડતી હોય છે તેમજ આ પ્રક્રિયા થોડી લાંબી ચાલી શકે છે, પરંતુ ગ્રાહક અદાલતમાં ખૂબ ઝડપી ન્યાય મળતા ગ્રાહકો હવે કન્ઝ્યુમર ફોરમ તરફ પોતાની ફરિયાદ જાતે જ લઈને આવે છે. ગ્રાહક અદાલતમાં લોકો તેમની સાથે થયેલ છેતરપિંડી, ફી ચૂકવીને સેવા ન મળવી, ઓનલાઇન ખરીદીમાં ગ્રાહકનું છેતરાવવું. કોઈપણ કારણોસર મેડીક્લેમ ની વળતરની રકમ ન મળવી તથા અન્ય ગ્રાહકોને મળવી જોઈતી સેવામાં ઉણપ વગેરે બાબત લોકો હવે સીધા જ ગ્રાહક અદાલતમાં પોતાની ફરિયાદ બહુ ઝડપી તેમજ બિન ખર્ચાળ રીતે કરી શકે છે.