ગાંધીનગર : તલાટીઓ (Gujarat Talati) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં અચોક્કસ મુદતની ચીમકી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા તે સમયે પ્રશ્નોના નિકાલની બાંહેધરી આપવામા આવી હતી. જેથી 'અચ્છે દિન'ની આશામાં તલાટી મહામંડળે જેતે સમયે હડતાલ મોકુફ રાખી હતી. આ વાતને આજે નવ મહિના જેટલો સમય થઇ ચૂક્યો હોવા છતાં પણ તેમના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. જેના પડતર પ્રશ્નો મુદ્દે આજથી તલાટી મંડળે લડી લેવાનો નિર્ણય કર્યો છે. આજથી તેઓ હડતાળ ઉપર છે. તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.
તલાટીઓના પ્રશ્નો નીચે પ્રમાણે છે
મુખ્ય પાંચ પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. આ મામલે અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નનો નિવેડો આવ્યો નથી. જેના કારણે સમગ્ર રાજ્યના તલાટીઓમાં નારાજગી છે. પડતર પ્રશ્નનો નિવેડો નહિ આવતા તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.
૧- સન ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા
૨- સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત, વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરિક્ષા રદ્દ કરવા બાબત
૩-રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત લતાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા
૪- ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરિક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત
૫- પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને નહિ સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત
રાજ્ય તલાટી મહામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ૨ ઓગષ્ટથી સમગ્ર રાજ્યના તલાટીઓને કરવાનો નિર્ણય લેવાયો છે કે, ડિઝાસ્ટર અને હર ઘર તિરંગા જેવા રાષ્ટ્રિય પર્વની કામગીરી કરવામાં આવશે. પરંતુ તે સિવાયની ૨૨ જેટલી કામગીરીઓ ઠપ થઇ જશે.
આજથી તમામ પ્રકારની કામગીરીથી અળગા રહેશે. આ મામલે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથે જિલ્લા તલાટી મહામંડળના મહામંત્રી ચિરાગ ચૌધરીએ વાત કરતા જણાવ્યુકે, હડતાલ રાજ્ય મહામંડળના આદેશ પ્રમાણે કરવામાં આવી છે. જ્યાં સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.