Home /News /gandhinagar /વિધાનસભામાં 15-16 ફેબ્રુઆરીએ વિશેષ કાર્ય શિબિરનું આયોજન, નવા ધારાસભ્યોને અપાશે ખાસ તાલીમ
વિધાનસભામાં 15-16 ફેબ્રુઆરીએ વિશેષ કાર્ય શિબિરનું આયોજન, નવા ધારાસભ્યોને અપાશે ખાસ તાલીમ
નવા ધારાસભ્યો માટે વિશેષ કાર્ય શિબિરનું આયોજન
Gujarat Legislative Assembly: નવા ધારાસભ્યો માટે વિધાનસભામાં આગામી 15 અને 16 ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાની કામગીરી કઈ રીતે હોય, તેમાં કેવી રીતે સવાલ કરાય ,કેવી રીતે જવાબ અપાય, કયા પ્રકારે અધ્યક્ષનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે અન્ય સાથીઓનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે વિરોધ અથવા સહમતી દર્શાવાય તે તમામ મુદ્દે તાલીમ અપવામાં આવશે.
ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર આગામી 23 ફેબ્રુઆરીએ મળવા જઈ રહ્યું છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કોઈપણ પાર્ટીને ન મળી હોય તેવી લીડ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષને મળી છે. ખરા અર્થમાં વિપક્ષના સૂપડા સાફ થઈ ગયા છે તે એટલે સુધી કે, વિપક્ષના નેતાનું પદ પણ ન મેળવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું
જોકે 156 જેટલી સીટો આવવાથી મહદંશે જે ધારાસભ્યો નવા છે અને જેઓ વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત નથી. જેને લઈને વિધાનસભામાં આગામી 15 અને 16 ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાની કામગીરી કઈ રીતે હોય, તેમાં કેવી રીતે સવાલ કરાય ,કેવી રીતે જવાબ અપાય, કયા પ્રકારે અધ્યક્ષનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે અન્ય સાથીઓનું માન જાળવવાનું હોય, કયા પ્રકારે વિરોધ અથવા સહમતી દર્શાવાય તે તમામ મુદ્દે તાલીમ અપવામાં આવશે.
લોકસભાના અધ્ષક્ષ ઓમ બિરલા આ બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ કરાવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં 15મી વિધાનસભામાં નવા સભ્યોની સંખ્યા વધારે છે. આ સભ્યોને ગૃહની પરંપરા, ગૃહની કાર્યપદ્ધતિ તેમજ સંસદીય કાર્ય શૈલીની વિગતો આપવા સહિત ઘણી બધી મહત્વની બાબતોને લઈ ચર્ચાઓ કરવામાં આવનાર છે. વિધાનસભા સચિવાલય દ્વારા આ પ્રકારની બેદિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
16મીએ સમાપન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે. વિધાનસભાના અંદાજપત્ર સત્ર અગાઉ આ કાર્યશાળા યોજાઈ રહી છે અને વિધાનસભા સત્રમાં પણ તેનો પડઘો જોવા મળશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ કાર્યશાળા અંગેની તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.