ગાંધીનગર : દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓના બે દિવસના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે હાજરી આપીને સિવિલ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ ઉપરાંત રાજપીપળાની નવી મેડીકલ કોલેજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સિંચાઈ વિભાગ યોજનાનું ઈ લોકાર્પણ, દાહોદ જિલ્લાના ગરબાડાની વિવિધ પાણી પુરવઠાની યોજનાઓનું એક ખાતમુહૂર્ત,કંડલા પોર્ટ ખાતે કાર્ગોજેટી એરિયામાં નવા ડોમ બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુર્હુત તેમજ કાર્ગોજેટી અપગ્રેડેશનનું ખાતમુર્હુત,તૂણા રોડને ટુ લેનથી ફોર લાઇન બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મેડિકલ કોલેજમાં 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, 2555 બેડનું ટ્રોમા સેન્ટર અને દર્દીઓના સગાઓ રાત્રી રોકાણ કરી શકે તે માટે 448 બેડના રેનબસેરાના નિર્માણ પાછળ રૂપિયા 373 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ત્રણેય બિલ્ડીંગનું ખાતમુર્હુત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુમના હસ્તે આજે કરવામાં આવ્યુ હતુ.
ગાંધીનગર મેડિકલ કોલેજને ગત વર્ષ-2012માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ એક દાયકા પછી ગાંધીનગર મેડિકલ કોલેજમાં પીજીના અભ્યાસ ક્રમ શરૂ થયા તેમજ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હવે દસ માળની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના બિલ્ડીંગના બેઝમેન્ટમાં બે માળની પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. તેમાં કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે. અદ્યતન મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થીએટર અને આઇસીયુ જેમાં હૃદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.
ઉત્તમ અને ઝડપી નિદાન અને સારવાર આપવાની સુવિધાઓ ટ્રોમા સેન્ટરમાં ઉભી કરાશે
કિડની સબંધિત બિમારી માટે નેફરોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બિમારીઓનું નિદાન તેમજ સારવાર પૂરી પાડવામાં આવશે. ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રરક્ટિવ સર્જરી જેવી ઉચ્ચકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. શ્વાસની બિમારીઓની ધનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. જ્યારે ટ્રોમા સેન્ટરમાં 255 બેડની ક્ષમતાની સાથે સાથે એડવાન્સ સર્જીકલ ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. જેમાં ઓર્થોપેડિકને લગતી સર્જરી માટે ઓપરેશન થીયેટર, સીટી એમઆરઆઇ, આઇસીયુ સહિતની સુવિધા ઉભી કરાશે.
ઉપરાંત ડિઝાસ્ટરની સ્થિતિમાં દર્દીઓને ઉત્તમ અને ઝડપી નિદાન અને સારવાર આપવાની સુવિધાઓ ટ્રોમા સેન્ટરમાં ઉભી કરાશે. જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર માટે દાખલ કરેલા દર્દીઓના સગાઓને રાત્રી રોકાણ કરી શકે તે માટે રેનબસેરા ઉભું કરવામાં આવશે, જેમાં એક સાથે 448 લોકો સૂઇ શકે તે માટે બેડની સાથે સાથે ભોજન કરી શકે તે માટે ડાયનીંગ ટેબલ, સ્નાન કરી શકે તે સહિતની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરાશે.