ગાંધીનગર: કેન્દ્રીય મંત્રીમંડળ (Modi Cabinet Reshuffle)નું આજે સાંજે છ વાગ્યે વિસ્તરણ થશે. નવા મંત્રીઓ આજે જ શપથ ગ્રહણ પણ કરશે એવું સૂત્રો જણાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત (Gujarat)માંથી પણ એક નેતાને તક મળી શકે છે. અહેવાલ પ્રમાણે ઉત્તર ગુજરાત (North Gujarat)માંથી ઓબીસી નેતા (Gujarat OBC leader)ને મંત્રીપદ મળી શકે છે. મંત્રીપદની રેસમાં પરબત પટેલ (Parbat Patel)નું નામ આગળ ચાલી રહ્યું છે. જ્યારે દીપસિંહ ડાભી અને ભરતસિંહ ડાભીનું નામ પણ ચર્ચામાં છે.
ભારતીબેન શિયાળના નામની પણ ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરબત પટેલ ઉપરાંત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ (Bhavnagar MP Bhartiben Shiyal)ને પણ રાજ્ય કક્ષાના મંત્રીનો હવાલો મળી શકે છે. ઓબીસી ક્વૉટામાંથી ગુજરાતના એકાદ સાંસદને મંત્રીપદ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે. આથી આ તમામ અટકળો પણ પૂર્ણવિરામ આપીને તેઓ કોઈ નવા જ નેતાને મંત્રીપદ આપી શકે છે! હાલ તો ગુજરાતના કયા નેતાઓને મંત્રીપદ મળશે તે જાણવાની ઉત્સુકતા સામાન્ય લોકોની સાથે સાથે ખુદ બીજેપીના કાર્યકરો અને નેતાઓને પણ છે.
જો વડાપ્રધાન ફેરફાર કરે છે તો મે 2019માં વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ શરૂ કર્યા બાદ મંત્રીપરિષદમાં આ પહેલો વિસ્તાર હશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ મોદી સંભવિત નેતાઓમાં શામેલ માનવામાં આવે છે. આ ફેરફારમાં ઉત્તર પ્રદેશને ખાસ મહત્ત્વ મળી શકે છે, કારણ કે આવતા વર્ષની શરૂઆતમાં અહીં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને રાજકીય રીતે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી અગત્યનું રાજ્ય માનવામાં આવે છે.
મહત્વનું છે કે, જૂનના પહેલા પખવાડિયામાં પીએમ મોદીએ મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કામની સમીક્ષા કરી હતી. આ સિવાય તેઓ પાર્ટીના વિવિધ મોરચાના પ્રમુખોને પણ મળ્યા હતા. આ પછી તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોને પણ મળ્યા. વર્ષ 2019માં સરકારની રચના બાદ, આજ સુધી મોદી કેબિનેટમાં કોઈ વિસ્તરણ કરવામાં આવ્યું નથી. જ્યારે ઘણા મંત્રીઓ સુધી ત્રણ કેબિનેટ પોર્ટફોલિયોના છે. કેટલાક મંત્રાલયોમાં રાજ્ય મંત્રી નથી. અકાલી દળને છોડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં માત્ર ભાજપના નેતાઓ જ મંત્રીઓ છે.