ગાંધીનગર: ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત થતા હવે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની તમામે તમામ 11 બેઠકો પર કબજો મેળવશે. અગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થવાની છે. આ ત્રણ બેઠકોમાંથી એક બેઠક પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરને ફરીથી મોકલવાનું નિશ્ચિત માનવામાં આવી રહેલું છે. જ્યારે બીજી બે બેઠકો જેમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાને ચૂંટણીને મોકલવામાં આવેલા હતા. તેમના સ્થાને હવે પાર્ટી સિનિયર નેતાને રાજ્યસભામાં મોકલે તેવી માહિતી ગાંધીનગર સચિવાલય ખાતેથી આવી રહી છે.
વર્તમાન સમયમાં રાજ્યસભાની વાત કરવામાં આવે તો, કુલ 11 બેઠકો પૈકી આઠ બેઠકો ભાજપ પાસે છે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. ત્યારે હવે ઓગસ્ટ માસમાં ખાલી પડનાર ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર પાર્ટી સુત્રો જણાવી રહ્યા છે કે, પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટે દાવેદારી કરી રહ્યા છે. જે પૈકી વિજય રૂપાણી અગાઉ 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ત્યારે નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવાના ચાન્સીસ વધી જાય છે.
પરંતુ બીજું ગણિત તેની અંદર એ પણ છે કે, હાલ જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો લેઉવા પટેલ તરીકે રાજ્યસભામાં મનસુખ માંડવીયા જ્યારે કડવા પટેલ તરીકે રાજ્યસભામાં પરસોત્તમ રૂપાલાને મોકલવામાં આવેલા છે. ત્યારે નીતિન પટેલ માટે રાજ્યસભાનો રસ્તો વર્ષ 2024માં ખાલી થાય તેવું લાગી રહ્યું છે.
કારણ કે, વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં રાજ્ય સભાની ચાર બેઠકો ખાલી પડશે જે પૈકી બે બેઠકોમાં ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સભ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અમે યાજ્ઞિક અને નારાયણ રાઠવા સભ્ય છે.
ભાજપ બંને સભ્યો કેન્દ્રીય મંત્રી છે અને એ જ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે. એટલે હવે જોવાનું રહેશે કે, ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારે જ્ઞાતિગત સોગટાં રાજ્ય સભાની ચૂંટણી માટે ગોઠવે છે.