ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિધાનસભા સત્ર શરૂ થયું છે. જેમાં કોંગ્રેસ દ્વારા અગાઉથી જ રણનીતી બનાવી શાસક પક્ષને વિવિધ પ્રશ્નો પર ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ વિભાગના મંત્રીઓને પ્રશ્નો પુછવામાં આવતા શાસક પક્ષ દ્વારા તેના લેખિતમાં જવાબ આપવામાં આવ્યા છે. તો જોઈએ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના રાજ્ય સરકારે શું ખુલાસા કર્યા.
રાજ્યની આરટીઓ કચેરીઓમાં 45 જગ્યાઓ ખાલી
રાજ્યની આરટીઓ કચેરીઓમાં 45 ટકા જગ્યાઓ ખાલી હોવાના કારણે નાગરીકોને મળતી સેવામાં વિલંબ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે રાજ્ય સરકારે લેખીતમાં ખુલાસો કર્યો છે કે, રાજ્યની આરટીઓ કચેરીમાં 45 ટકા જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે. આરટીઓ કચેરીમાં 1203 ખાલી જગ્યા ભરવામાં આવી છે, જ્યારે 989 જગ્યાઓ હજુ પણ ભરવાની બાકી છે. તમને જણાવી દઈએ કે, સૌથી વધુ જગ્યા અમદાવાદ કચેરીમાં 154 જગ્યાઓ ભરવાની બાકી છે. જ્યારે વડોદરામાં 72, સુરતમાં 83, રાજકોટમાં 57, કચ્છમાં 54 જગ્યાઓ ભરવાની બાકી છે, જેને પગલે નાગરીકોને સારી રીતે સેવા મળી રહી નથી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રેક્ટર ખરીદીની ખેડૂતોની માત્ર 40 ટકા અરજીઓજ થઈ મંજૂર
રાજ્ય સરકારે ખેડૂતોની ટ્રેક્ટર ખરીદી અંગે જબાબ રજૂ કર્યો કે, 2 વર્ષમાં 40 ટકા ખેડૂતોની અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં ટ્રેક્ટર સહાય માટે 1.35 લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાં કુલ 40 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 27, 624 અરજીઓ હજુ પડતર છે.
કોરોનાકાળમાં પ્રજાના માથે મોંઘવારીએ પડતા પર પાટુ મારવાનું કામ કર્યું છે. સરકારે આ મામલે લેખિત જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે, એક જ વર્ષમાં કપાસિયા તેલમાં ડબ્બે 249 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 616 રૂપિયાનો વધારો થયો હોવાની સરકારે કબુલાત કરી છે.
સોમનાથ મંદિર પરિસર ખર્ચ
રાજ્ય સરકારે આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે, સોમનાથ મંદિર પરિસર માટે 9247.61 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા 9247.61 લાખ નો ખર્ચ સોમનાથ મંદિર પરિષદ માટે મંજૂર કરવામાં આવ્યો છે. આ ખર્ચ અંતર્ગત સોમનાથ મંદિરમાં પ્રવાસીઓની સુવિધા વધારવાની કામગીરી પાર્કિંગ, દુકાન, ટોયલેટ, બ્લોક કિચન, ઓડિટોરિયમ મ્યુઝિયમ હોલ, લાઇબ્રેરી, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ વધારવામાં આવશે. આ ઉપરાંત યાત્રાપથ, સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા, હાટ માર્કેટ સુવિધાની કામગીરી થશે. સોમનાથ પરિસરમાં છેલ્લા બે વર્ષમાં 6543.92 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રમત-ગમતના મેદાન માટે સરકારે 1 રૂપિયો પણ ન ફાળવ્યો હોવાનું સ્વીકાર્યું
રાજ્યના ૧૮ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રમત ગમત મેદાન માટે રાજ્ય સરકારે એક પણ રૂપિયો ફાળવ્યો ન હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભામા ધારાસભ્યઓએ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીને રમતગમતના મેદાન માટે ફાળવવામાં આવેલ રકમ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા રાજ્યમાં રમત - ગમતને પ્રોત્સાહન આપવાની અને “રમશે ગુજરાત - જીતશે ગુજરાત નામના નારાઓ આપવામાં આવે છે. પરંતુ રમત - ગમતના મેદાન માટે વર્ષ ૨૦૧૯માં અને વર્ષ ૨૦૨૦માં રાજ્યના ૧૮ જીલ્લાઓમાં એક રૂપિયાની રકમ પણ ફાળવવામાં આવી નથી.
વર્ષ 2020 21માં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો અમલ ન થવા હોવાનો અહેવાલ રજુ કરાયો છે. છેલ્લા 2 વર્ષમાં 23 લાખથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી હતી. 148 કરોડથી વધુ રૂપિયાનું વળતર નુકશાની પેટે ચૂકવવામાં આવ્યું છે. ખેડૂતોએ 500 કરોડથી વધુ પ્રીમિયમ ભર્યું હતું. સામે રાજ્ય સરકારે 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચકુંવ્યું છે. કેન્દ્ર સરકારે પણ 1500 કરોડથી વધુ પ્રીમિયમ ચૂકવ્યું છે.
વાહનોમાં લગાવવામાં આવતી બ્લેકફિલ્મનો મામલો
સરકારે આ મામલે લેખીત જવાબ રજૂ કરતા કહ્યું કે, વાહનોમાં સરકારી અને ખાનગી બંને વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 1,78,948 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા 2 વર્ષથી દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ 5,80,65,468નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ખાનગી એપીએમસીની મંજુરીના પ્રશ્નમાં સરકારે જવાબ આપતા કબુલ્યું કે, છેલ્લા બે વર્ષમાં બે નવી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક કચ્છ અને એક અમદાવાદ જિલ્લા માટે મંજુરી આપાઈ છે. વધુમાં સરકારે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં સૌથી વધુ ખાનગી APMC બનાસકાંઠા જિલ્લામાં, જ્યારે બીજા નંબરે અમદાવાદ જિલ્લામાં 8 ખાનગી APMC ત્યારે ત્રીજા નંબરે કચ્છ અને પાટણ જિલ્લામાં 3 ખાનગી APMC અને વલસાડ અને મોરબી જિલ્લામાં એક એક ખાનગી APMCને મંજુરી આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 227 સહકારી APMC અને 30 ખાનગી APMC છે.
સરકારી ગોડાઉનમાં અજાન સગેવગે થવાનો મામલો
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં અનાજ સગેવગે કરવાના કૌભાંડ મામલે પણ આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. મંત્રી જયેશ રાદડિયાએ ગૃહમાં માહિતી આપી હતી. શહેરા અને પાલનપુરમાં અનાજ સંગેવગે કરવાનો મામલે ખુલાસો કરતા કહ્યું કે, ઘઉં અને ચોખાની કુલ 3 કરોડની કિંમતનું કૌભાંડ થયું છે. મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. હાલમાં સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.