કમોસમી વરસાદ સંદર્ભે કૃષિ મંત્રી રાધવજી પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-2023 માસમાં કમોસમી વરસાદ ઘણા જિલ્લાઓમાં નોંધાયેલા છે તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો મળ્યા છે.
ગાંધીનગરઃ કમોસમી વરસાદ સંદર્ભે કૃષિ મંત્રી રાધવજી પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-2023 માસમાં કમોસમી વરસાદ ઘણા જિલ્લાઓમાં નોંધાયેલા છે તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો મળ્યા છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન સંદર્ભે ખેડૂત આલમમાં વ્યાપેલી નિરાશા દૂર કરવા અમારી સરકારે સમયાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની પરિસ્થિતિ બાબતે કમોસમી વરસાદ નોંધાયેલો તથા અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (સ્ટેટ કંટ્રોલ રૂમ) ગાંધીનગર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ તા.૦૪/૦૩/ ૨૦૨૩થી તા.૦૯/૦૩/૨૦૨૩ સુધી રાજ્યમાં 27 જિલ્લાના 107 તાલુકામાં નોંધાયો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા. ૧૪/૦૩/૨૦૨૩થી તા.૨૪/૦૩/૨૦૨૩ સુધીમાં 31 જિલ્લાના 171 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બંને તબક્કા દરમિયાન કુલ 24 જિલ્લાના 70 તાલુકાઓમાં 10 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.
તેમણે ઉમેર્યુ કે, બંને તબક્કાની વરસાદની વ્યાપકતા અને હવામાન ખાતા IMDની આગાહીને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરો સાથે તારીખ: ૧૯/૦૩/૨૦૨૩ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર સમીક્ષા કરી અસગ્રસ્ત વિસ્તારમાં સતત મોનિટરીંગ કરવા તેમજ જરૂર જણાય તો નુકસાનગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરી ઘટતા પગલાં લેવા સૂચના આપી છે.
એડવાઇઝરી જાહેર કરવામાં આવી
આ કમોસમી વરસાદ અન્વયે આગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણના લેવાના થતાં પગલાઓ અંગે એગ્રો એડવાઈઝરી દરેક જિલ્લા કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમજ બહોળા પ્રચાર પ્રસાર દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહી છે. હાલના તબક્કે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરિયાત ઉભી થતા પાક નુકસાની સંદર્ભે વિગતવાર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશેઃ કૃષિ મંત્રી
વિગતવાર સર્વેમાં જો નુકસાની ધ્યાને આવે તો રાજ્ય સરકારે અગાઉના વર્ષોમાં ખેડૂતોના હિતમાં કરેલા નિર્ણય મુજબ આ કિસ્સામાં પણ સહાય માટેની વિચારણા કરવામાં આવશે તે મુજબ કૃષિ મંત્રી દ્વારા વિધાનસભા ગૃહના સભ્યોને જણાવ્યું છે. વધુમાં કુદરતી આપત્તિ તથા પાક નુકસાનીની તીવ્રતા અને માત્રા ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળના વર્ષોમાં કુલ 10 હજાર કરોડથી પણ વધુની સહાય ચૂકવી હતી. જેમાં SDRF નોર્મસ ઉપરાંત રાજ્ય બજેટમાંથી પણ સહાય જાહેર કરવામાં આવી હતી. આ બાબતની પણ પાક નુકસાનીમાં તીવ્રતા ધ્યાને લઈ ચાલુ કમોસમી વરસાદ અંતર્ગત વિચારણા હાથ ધરવામાં આવશે.