ગાંધીનગર: ગુજરાતમાં હાલ રાજનીતિનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે શાંતિપૂર્ણ રીતે પુરુ થયુ છે. ત્યારે થયેલા મતદાનનો સત્તાવાર આંકડો 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા નોંધાયું છે. આ સાથે સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા જાહેર થતા સામે આવ્યું છે કે, આદિવાસી પ્રભાવિત 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.
મતદાનનાં આંકડા
પ્રથમ તબક્કમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થયું છે.
આ તબક્કામાં 69 મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી. કેટલીક અનિચ્છનિય ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર લોકોએ મત આપ્યાં છે.
આપને જણાવીએ કે, વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુ હતું. જ્યારે આ વખતે 2022માં પહેલા તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ ગત ચૂંટણીની સરખામણીમાં મતદાન ઓછું નોંધાયું છે. ત્યારે જોવાનુંએ રહ્યું કે, પીએમ મોદીએ અમદાવાદમાં કરેલા રોડ શોનો જાદુ બીજા તબક્કાનાં મતદાન પર થાય છે કે પ્રથમ તબક્કાની જેમાં મતદાન ઓછુ જ નોંધાશે.
મોરબીમાં પણ મતદાન ઘટ્યું
મોરબીની ગોઝારી દુર્ઘટનાની અસર પણ મતદાન પર પડી હોય તેમ જણાઇ રહ્યું છે. મોરબીમાં આ વખતે 63.14 ટકા મતદાન નોંધાયું હતુ. જ્યારે 2017માં 73.66 ટકા મતદાન નોંધાયું હતું. ટકાવારી જોઇએ તો આ વર્ષે મોરબીમાં મતદાનની ટકાવારી ઓછી થઇ છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.