Home /News /gandhinagar /ગાંધીનગરમાં કાલે મતદાન જાગૃતિ રેલી તો પાંચ તારીખે શ્રમયોગીઓ માટે સવેતન રજા
ગાંધીનગરમાં કાલે મતદાન જાગૃતિ રેલી તો પાંચ તારીખે શ્રમયોગીઓ માટે સવેતન રજા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
Gandhinagar News: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને શ્રમયોગીઓ માટે આગામી પાંચમી તારીખે તેઓ મતદાન કરવા જઇ શકે માટે ગાંધીનગર જિલ્લામાં જાહેર રજા ઘોષિત કરવામા આવી છે.
ગાંધીનગર: શ્રમયોગીઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કોઈ પણ વિઘ્ન વગર કરી શકશે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને શ્રમયોગીઓ માટે આગામી પાંચમી તારીખે શ્રમયોગીઓ મતદાન કરવા જઇ શકે માટે ગાંધીનગર જિલ્લામાં જાહેર રજા ઘોષિત કરવામા આવી છે. જો કોઈ ફેક્ટરી માલિક અથવા બિલ્ડીગ કોન્ટ્રાક્ટર આ કાયદાનો ભંગ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવાના આવશે.
આગામી પાંચમી ડિસેમ્બરે શ્રમયોગીઓ રજા
આ મુદ્દે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આગામી પાંચમી ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાનાર છે. ત્યારે કારખાના ધારા-1948, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 હેઠળ નોંધણી થયેલ સંસ્થા અથવા તો સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ- 135(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા અથવા તો સાઈટ પરના શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.’
આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ અથવા કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરી શકાશે નહીં. જ્યારે સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ કર્મચારીઓને તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા આ જોગવાઈથી વિરૂદ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીના વડપણ હેઠળ સમગ્ર રાજ્યમાં ઘણા બધા મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યા છે. જે અંતર્ગત આવતીકાલે ગાંધીગનર જિલ્લામાં વિવિધ સ્થલો પર મતદાર જાગૃતિ રેલીઓ યોજાશે. ગાંધીનગર જિલ્લાના મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આવતીકાલે મતદાન જાગૃત્તિનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો પ્રારંભ ગાંધીનગરના આર.જી. કન્યા વિદ્યાલયથી સવારે નવ વાગ્યાથી કરવામાં આવશે. ત્યારબાદ આ રેલી ઘ-6 સર્કલથી ઘ-5 સર્કલ જશે અને ત્યાંથી આર.જી. કન્યા વિદ્યાલયના ગેટ-7 ખાતે પરત આવશે.
આ રેલીમાં અંદાજે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થવાના છે. રેલી દરમિયાન બાળકો મતદાન જાગૃત્તિ અર્થે બેનર લઈને ચાલશે તેમજ મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ રેલી સ્થાનિક કક્ષાએ યોજવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમથી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે છે.