કલોલ વિધાનસભા ચૂંટણી 2022: થોડા મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election) યોજાશે. ચૂંટણીપંચે હજુ સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી (Election)માં મેદાનમાં ઉતરશે. તમામ પક્ષો દ્વારા ગુજરાત (Gujarat)માં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ કામ પણ શરૂ કરી દીધું છે. સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને પેજ પ્રમુખ તથા નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ (Congress)એ ચિંતન શિબિર યોજીને તમામ જીલ્લા સ્તરે સમસ્યા અને કામગીરીની સમીક્ષા કરી છે. તો ભાજપ ગુમાવેલી સીટ પરત મેળવવા અને મેળવેલી સીટો જાળવી રાખવાની કોશિશ કરી રહી છે. ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે આજે અમે તમને કલોલ વિધાનસભા બેઠક વિશે જાણકારી આપી રહ્યા છીએ.
કલોલ ગાંધીનગર વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપ ઉમેદવાર ડો.અતુલભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપ ઉમેદવાર ડો.અતુલભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. ભાજપે આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 1990થી અત્યાર સુધીમાં 3 વાર જીત મેળવી છે અને કોંગ્રેસે 4 વાર જીત મેળવી છે.
રણછોડપુરા, સબાસપુર, સનાવડ, સાંતેજ, શેરીસા, સોભાસણ, સોજા, ઉનાલી, ઉસ્માનાબાદ, વડાવસ્વામી, વડસર, વગોસણા, વણસાજડા, વણસાજડા ધેડીયા, વયાણા, વેડા સહિતના ગામોનો કલોલ વિધાનસભા બેઠકમાં સમાવેશ થાય છે.
બળદેવજી ઠાકોર
બળદેવજી ઠાકોર કલોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને ઠાકોર સમાજના સક્રિય આગેવાન છે. ચૂંટણી નજીક આવતા જ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરીશું. બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માગ કરતા રાજકારણ ગરમાયું હતું.
બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાતમાં 1 કરોડ અને 20 લાખ ઠાકોર કોળી સમાજની વસ્તી છે. ગુજરાતમાં 27 ટકા OBC સમાજમાં 80 ટકા ઠાકોર કોળી સમાજના લોકો રહે છે, છતાં બજેટમાં માત્ર 1 કરોડ 10 લાખની જ ફાળવણી કરવામાં આવી છે.
કલોલ બેઠક પર મતદારોના સમીકરણ
કલોલ વિધાનસભા બેઠક પર કુલ 1.59 લાખ જેટલા મતદારો છે. આ મતદારોમાં ઠાકોર જ્ઞાતિના સૌથી વધુ મતદાર છે. જ્ઞાતિ આધારિત મતદાન ઉપરાંત દરરોજ નવા વળાંક લેતા કલોલ તાલુકાનું આંતરિક રાજકારણ જ જિલ્લા અને તાલુકા પંચાયતનુ ભવિષ્ય નક્કી કરશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.
કલોલ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની બેઠક ભોંયણ મોટી, બોરીસણા, પલીયડ, પાનસર, સઇજ, સાંતેજ તમામ છ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના જ ઉમેદવારો છે. આ કારણોસર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ છે. કોઇ અપક્ષ કે અન્ય પક્ષનો ઉમેદવાર પક્ષની વોટબેંક તોડે તેમ નથી.
ગાંધીનગર લોકસભા ચૂંટણી
ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે. કલોલ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ગાંધીનગર લોકસભામાં શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો હતો. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ ઊભા રહ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાણીનું પત્તું કપાયુ હતું.
વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં એલ. કે. અડવાણી ગાંધીનગર બેઠક પરથી સાંસદ બન્યા હતા.
અમિત શાહની સામે કોંગ્રેસ નેતા સી.જે.ચાવડા ઊભા રહ્યા હતા. પરંતુ સી.જે.ચાવડાએ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ લોકસભા બેઠક પર કુલ 19,45,149 મતદારો 10,03,707 પુરુષ મતદારો અને 9,41,395 મહિલા મતદારો તથા 47 અન્ય મતદારો છે.
કલોલ ઈતિહાસ
કલોલ પુરાણુ નગર હોવાથી આજુબાજુ વાવ મંદિર મસ્જીદ જેવા પુરાતન સ્થળો આવેલા છે. કલોલની નજીક આવેલી અડાલજની વાવ કલોલના ઈતિહાસની ગવાહ છે. ઈસ.1498માં આ વાવ કલોલની રાણી રૂડાદેવીએ તેમના પતિ વીરસિંહની સ્મૃતિમાં બનાવી હતી.
રાજા વીરસિંહ અને અમદાવાદના રાજા મહંમદશા બેગડા વચ્ચે અડાલજમાં લડાઈ થઈ હતી. જેમાં વીરસિંહ માર્યા ગયા હતા અને કલોલ અમદાવાદના સુબાના આધિપત્યમાં આવ્યુ હતું. રાણી રૂડાદેવી તેજસ્વી અને રૂપાળા સ્વાભિમાની હતા.
આથી બેગડા અને અમદાવાદના બાદશાહે રાણી થવા સંદેશો પહોંચાડ્યો હતો. રૂડાદેવીએ અમદાવાદ બાદશાહને પોતાના પતિ જયાં શહીદ થયા હતા ત્યાં બેનમૂન વાવ પોતાના પતિની સ્મૃતિમાં બનાવે તો પોતે રાણી થવા તૈયાર છે તેવું કહેણ મોકલાવ્યું. છ મહિનામાં તો વાવ તૈયાર થઈ ગઈ.
બાદશાહે વાવના દર્શન કરી મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું તો પોતાના પતિની સ્મૃતિમાં અને પ્રજા માટે વાવ બનતા રાણી ખૂબજ ખુશ થયા. પોતાની જીંવનની મનોકામના પુરી થઈ હોવાથી આનંદિત થયા અને રાણીએ નાળીયેર લઈ પૂજા કરીને વાવમાં ઝંપલાવ્યુ પોતાનું જીવન સાર્થક કર્યું.
કલોલનું ખોડીયાર માતાનું મંદિર અને કપિલેશ્વર મહાદેવ પણ ઘણા જૂના છે. જે કલોલની સ્થાપના પછી તે સમયના રાજાઓને બનાવેલા છે. ખોડિયાર માતા કલોલના નગરદેવી તરીકે પૂંજન થાય છે.
કપિલેશ્વર મહાદેવ અને કલોલના વારિનાથ મહાદેવના શીવલીંગો વિધર્મીના ત્રાસથી દાટી દેવામાં આવેલા છે. ગામમાં અંબાજી માતાના વાસમાં આવેલુ અંબાજી મંદિર પણ બસો વર્ષ જુનુ છે. બજારમાં આવેલુ રામજી મંદિર પણ બસો વર્ષ ઉપરાંત જુનુ છે.