Power Corridor : કહેવાતા પત્રકારથી પીએમઓના અધિકારીઓ પરેશાન
આ અજાણ્યા કહેવાતા પત્રકારના ત્રાસથી હાલ તો પીએમઓ અધિકારી પરેશાન છે.
Gandhinagar : આ અજાણ્યા કહેવાતા પત્રકારના ત્રાસથી હાલ તો પીએમઓ અધિકારી પરેશાન છે. ને તેઓ શોધી રહ્યા છે કે, ફાઇનલી આ કહેવાતા પત્રકાર છે કોણ? અને કયા હેતુથી તેઓ તેમના નામનો ઉપયોગ કરીને લોકો વચ્ચે જઇ રહ્યા છે?
રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સાંકળ રુપ એક અધિકારીના નામે આજકાલ એક કહેવાતા પત્રકાર વિવિધ વિભાગના આઇએએસ પાસે જઇ રહ્યા છે. તેમને કહી રહ્યા છે કે, પીએમઓના (PMO) ફલાણા અધિકારીએ મને મોકલ્યો છે અને આપને મોદીજી (PM Modi) જ્યારે સીએમ હતા ત્યારના કાર્યકાળ વિશે બાઇટ (નિવેદન) આપવાની છે. આ કહેવાતા પત્રકારથી રાજ્યને કેન્દ્ર વચ્ચેની સાંકળરુપ આ અધિકારી એટલા પરેશાન છે કે, તેઓ ના તો આ પત્રકારને ઓળખે છે. ના તો તેમણે મોદીજી વિષયક કોઇ બાઇટો લેવા માટેની ભલામણ કરેલી છે. સ્વાભાવિક પણે જ આ પત્રકાર જેમની પાસે જાય છે તે અધિકારીઓ આ પીએમઓ અધિકારી સાથે ટેલિફોનિક ખરખરો કરે છે કે, તમારી ભલામણથી ફલાણા પત્રકાર આવ્યા છે ને, અમને બાઇટ આપવા જણાવી રહ્યા છે.
આ અજાણ્યા કહેવાતા પત્રકારના ત્રાસથી હાલ તો પીએમઓ અધિકારી પરેશાન છે. ને તેઓ શોધી રહ્યા છે કે, ફાઇનલી આ કહેવાતા પત્રકાર છે કોણ? અને કયા હેતુથી તેઓ તેમના નામનો ઉપયોગ કરીને લોકો વચ્ચે જઇ રહ્યા છે?
શાલિની અગ્રવાલના નામે ઉઘરાણી
પીએમઓ અધિકારીની માફક જ આજકાલ વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ અન્ય કારણસર પરેશાન છે. વાત જાણે એમ છે કે, શાલિની અગ્રવાલનો ડીપી વોટસઅપ સ્ટેટસમાં મુકીને તેમના નામે કોઇ શખ્સ જાહેર જનતા પાસે કોઇને કોઇ મુદ્દે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. શાલિની અગ્રવાલના ધ્યાને આ વાત આવતા તેઓએ હાલ તો આ સાયબર ક્રાઇમને લઇને તેમની તસવીરના દુરુપયોગની ફરિયાદ સ્થાનિક પોલીસને કરી છે. આ સાથે જાહેર જનતાને પણ અપીલ પણ કરી છે કે, તેમના ફોટો સાથે આવતા ઉઘરાણીના મેસેજને ઇગ્નોર કરે અને આ સાયબર ગુનેગારથી સાવધ રહે.
શ્રમ અને રોજગાર વિભાગના સેક્રેટેરી અંજુ શર્મા જનરલી લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો પસંદ કરે છે. પરંતુ, આ સીડીનો ઉપયોગ તેમના માટે મોંઘો સાબિત થયો છે. મંત્રી સાથેની એક મિટીંગમાં ઉતાવળે પહોંચવા દોડેલા અંજુ શર્મા સીડી ઉતરવા જતા લપસી પડયા છે. હાલ તેઓ સંપૂર્ણપણે બેડ રેસ્ટ પર છે. ડોકટરે તો તેમને એક મહિનાનો સંપૂર્ણ બેડ રેસ્ટ કહ્યો છે. પરંતુ, તેમના ઓફિસ સૂત્રો જણાવી રહ્યા છે કે, મેડમ ટૂંક સમયમાં જ ઓફિસ જોઇન કરવાના મૂડમાં છે.
લ્યો ફાઇનલી અમદાવાદ સીપીએ રજા લીધી
અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ માટે સીપી ઓફિસમાં ધણા સમયથી એક કૂતુહલ હતું, કે આ સીપીએ છેલ્લા બે - અઢી વર્ષમાં એકપણ રજા નથી લીધી. આવુ કોઇ ઓફિસર માટે કેવી રીતે પોસિબલ છે? કોઇપણ જાહેર જીવનનો માણસ હોય - તેની એક પારિવારિકને સામાજિક લાઇફ પણ હોય છે. અને એટલે જ સ્વાભાવિક પણે ગમે તેટલી મોટી પોઝીશન પર અધિકારી હોય - તહેવારોએ - પ્રસંગો એ રજા લે તે એક નોર્મલ પ્રક્રિયા છે. પરંતુ અમદાવાદ સીપી આમાંથી અપવાદ હતા. તેઓએ છેલ્લા બે વર્ષમાં એકપણ રજા નથી લીધી. પરંતુ, ફાઇનલી હવે તેઓ આજથી 17 દિવસની રજા પર ઉતર્યા છે. સૂત્રોનું માનીએ તો, તેઓ પરિવાર સાથે વિદેશ યાત્રાએ જઇ રહ્યા છે. તેમની ગેરહાજરીમાં અમદાવાદ સીપી તરીકેનો ચાર્જ હવે જોઇન્ટ સીપી અજય ચૌધરી સંભાળશે.
રાજ્યના ચૂંટણી અધિકારી પી. ભારતી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. સામાન્ય જનતાને ચૂંટણીલક્ષી વિગતો, જાણકારીને એલર્ટ મેસેજ sms થ્રુ મળી શકે તે માટે પી. ભારતી જલ્દી જ દિલ્હીની મુલાકાત લેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મફત બલ્ક મેસેજીસ જાહેર જનતાને મોકલી શકાય તે માટે તેઓ પીએમઓના અધિકારીને સાથે રાખીને ટ્રાઇના ચેરમેન પી. ડી. વાઘેલાને ભલામણ કરવાનું વિચારી રહ્યા છે. આ માટે ટૂંક સમયમાં જ તેઓ દિલ્હીની વિઝીટ કરશે.
નવી પાર્લામેન્ટ બનાવાનો યશ ગુજરાત કેડરના ઓફિસર ડી. થારાને મળશે
દિલ્હીમાં હાલ જયાં સંસદ ભવન છે એની બાજુમાં જ નવુ સંસદ ભવન અને નવી મંત્રી પ્રિમાઇસીસ બનવા જઇ રહી છે. નવી પાર્લામેન્ટ અંદાજે 1 હજાર કરોડના ખર્ચે હશે. જે સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર આધારીત અને પિરામિડ ડીઝાઇનમાં હશે. પાસે જ મંત્રી ઓફિસો પણ હશે અને આ બધો જ ટાસ્ક ગુજરાત કેડરના સિનિયર આઇએએસ અધિકારી ડી. થારાના ખભે છે. સંસદને મંત્રી ઓફિસ સિવાય પણ તેઓ નિર્માણ ભવન, શાસ્ત્રી ભવનની ઓફિસીસ હાલ ટેમ્પરરી અન્યત્ર ખસેડવાનું વિચારી રહ્યા છે. હાલના સ્ટાફને ટેમ્પરરી અન્યત્ર જગ્યા આપીને તેઓ આ ભવનોનું પણ નવ નિર્માણ કરશે. આગામી ત્રણથી ચાર મહિનામાં નવી સંસદ રેડી થઇ જશે અને વહીવટીદ્રષ્ટિ એ આ નવ નિર્માણનો જશ ગુજરાત કેડરના આ ઓફિસર ડી. થારાને મળશે.