રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસની ત્રીજી લહેર (Corona virus Third Wave) આવે તો પણ બીજી લહેરની જેમ ઓક્સીજનની કિલ્લત નહીં સર્જાય. આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત સરકાર છેલ્લા કેટલાક દિવસોથી નવા નવા ઓક્સીજન પ્લાન્ટનું (Oxygen Plant) લોકાર્પણ અને ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યમાં 300 પીએસએ ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે 175થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત પી.એસ.એ. ઓક્સિજન (PSA Oxygen Plant) પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતા જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માંગ 100 મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરના પીક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 1200 મે.ટન સુધી પહોંચી હતી. તેમણે ઉમેર્યું કે મેડિકલ ઓક્સિજનની આવી તીવ્ર માંગ વચ્ચે પણ ગુજરાતની એક પણ હોસ્પિટલમાં કોઈ દર્દીનું મૃત્યું ઓક્સિજનના અભાવે થયું નથી. રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન થકી હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ એ ગૌરવ સાથે કહ્યું કે, દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં લોક ડાઉન નાખવામાં આવેલું આમ છતાં હજી પણ કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવી નથી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ગુજરાતે કોરોનાની સ્થિતિને સફળતા પૂર્વક નિયંત્રિત કરી દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગયો છે. હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે રવિવારે 70 જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.
બોટાદ જિલ્લામાં હાલ બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ થયેલો ગઢડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો આ પ્લાન્ટ દર મિનિટે 150 લીટર ઓક્સિજન ઉત્પાદન કરશે જેનો ગઢડાની આસપાસના 80 ગામોના લોકોને જરૂરિયાતના સમયે લાભ મળશે.